જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના રનૌતે કોર્ટને કરી વિનંતી, કહ્યું- મારી બહેન રંગોલી ચંદેલનું નિવેદન દાખલ કરો
જાવેદ અખ્તર અને કંગના રનૌત (Kangana Ranaut) વચ્ચે ચાલી રહેલા માનહાનિના કેસમાં કંગનાએ મુંબઈ કોર્ટને તેની બહેન રંગોલી ચંદેલનું નિવેદન દાખલ કરવાની વિનંતી કરી છે.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે (Kangana Ranaut) ગીતકાર-લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં મુંબઈની એક કોર્ટને તેની બહેન રંગોલી ચંદેલનું નિવેદન દાખલ કરવા વિનંતી કરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ કંગના રનૌતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરઆર ખાનની સામે અરજી કરી હતી. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ શુક્રવારે આ અરજી દાખલ કરી હતી. કોર્ટે તેની સાથેનો આદેશ 11 ઓગસ્ટ સુધી સુરક્ષિત રાખ્યો છે.
કંગનાએ પોતાને કહ્યું નિર્દોષ
આ મહિનાની શરૂઆતમાં કંગના રનૌત કોર્ટમાં હાજર થઈ હતી પરંતુ તેણે સુનાવણી દરમિયાન પોતાને નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. નવેમ્બર 2020માં જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ થયા બાદ કંગનાની આ ત્રીજી રજૂઆત હતી. આ દરમિયાન કંગના રનૌતે પોતે કરેલી ક્રોસ ફરિયાદમાં પોતાનું વેરિફિકેશન સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું. કાઉન્ટર ફરિયાદમાં તેમનું નિવેદન દાખલ માટે તેમણે એપ્રિલમાં એક સ્પેશિયલ ડેટ માટે બંધ કેમેરામાં કાર્યવાહી માટે એક ઓર્ડર મેળવ્યો હતો.
જાવેદ અખ્તરે માનહાનિનો કેસ કર્યો હતો દાખલ
જાવેદ અખ્તરે વર્ષ 2020માં કોર્ટમાં આ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે કંગના રનૌતે એક ટીવી ઈન્ટરવ્યુમાં તેની વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યું હતું અને તેના કારણે તેની પ્રતિષ્ઠાને ઘણું નુકસાન થયું હતું. જાવેદ અખ્તરે તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે જૂન 2020 માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડમાં હાજર જૂથવાદનો ઉલ્લેખ કરતા એક ઇન્ટરવ્યુ દરમિયાન કંગનાએ તેનું નામ લીધું હતું.
કંગનાએ કરી હતી વળતી ફરિયાદ
રિપોર્ટ મુજબ કંગનાએ જાવેદ અખ્તર સામે કથિત રીતે ખંડણી અને અપરાધિક ધાકધમકી માટે કોર્ટમાં વળતી ફરિયાદ પણ કરી હતી. કંગનાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે તેના કો-આર્ટિસ્ટ સાથેના વિવાદ બાદ જાવેદ અખ્તરે તેને અને તેની બહેન રંગોલી ચંદેલને ખરાબ ઈરાદા સાથે પોતાના ઘરે બોલાવ્યા અને પછી તેમને ગુનાહિત ધમકી આપી. જાવેદ અખ્તરે તેને તેના કો-આર્ટિસ્ટ પાસે લેખિતમાં માફી માંગવા દબાણ કર્યું.
‘તેજસ’ અને ‘ઇમરજન્સી’માં જોવા મળશે કંગના
બોલિવૂડ ન્યૂઝ મુજબ કંગના રનૌત ટૂંક સમયમાં ‘તેજસ’માં જોવા મળશે, જેમાં તે પાયલટના રોલમાં જોવા મળશે. આ પછી તે ‘ઇમરજન્સી’માં પણ જોવા મળશે, જેમાં તે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના સાથે અનુપમ ખેર પણ જોવા મળશે.