NEET PG 2026 માટે નવા નિયમો જાહેર, આધાર આધારિત વેરિફિકેશન ફરજિયાત, પરીક્ષા શહેર ફાળવણીમાં પણ મોટો ફેરફાર
NEET PG 2026 પરીક્ષા વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા NBEMS દ્વારા મોટા ફેરફારો જાહેર થયા છે. હવે ઉમેદવારો માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે.

NEET PG 2026 પરીક્ષાને વધુ સુરક્ષિત, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા અનેક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ઉમેદવારો માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે, જ્યારે પરીક્ષા શહેર ફાળવણીની પ્રક્રિયામાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
આ વખતે NEET PG માટે દેશભરમાં અંદાજે 2.7 લાખથી વધુ મેડિકલ સ્નાતકોએ અરજી કરી છે, જે ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઉમેદવારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને NBEMSએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે.
Aadhar આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત
NEET PG 2026માં ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે. નોંધણી દરમિયાન તેમજ પરીક્ષાના દિવસે ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ દ્વારા ઓળખ ચકાસવામાં આવશે. જો કોઈ કારણસર ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય, તો આઇરિસ સ્કેન દ્વારા ઓળખની પુષ્ટિ કરવામાં આવશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ નકલ અને છેતરપિંડી જેવી ગેરરીતિઓને રોકવાનો છે.
પરીક્ષા શહેર ફાળવણીના નવા નિયમો
NBEMSએ પરીક્ષા શહેર ફાળવણીની પ્રક્રિયામાં પણ ફેરફાર કર્યો છે. હવે ઉમેદવારોએ અરજી કરતી વખતે પોતાની પસંદગીના ત્રણ રાજ્યો પસંદ કરવા પડશે. તેમાં ઉમેદવારનું પત્રવ્યવહારનું રાજ્ય (Correspondence State) પ્રથમ પ્રાથમિકતા તરીકે ગણાશે.
પરીક્ષા શહેરની માહિતી પરીક્ષાની તારીખથી લગભગ ત્રણ અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવારોને મુસાફરી અને રહેવાની વ્યવસ્થા માટે પૂરતો સમય મળી રહે. NEET PG 2026ની પરીક્ષા 30 ઓગસ્ટે યોજાવાની છે.
3.5 કલાકમાં ઉકેલવાના રહેશે 180 પ્રશ્નો
આ વર્ષે પરીક્ષામાં કુલ 180 બહુવિકલ્પીય (MCQ) પ્રશ્નો પૂછવામાં આવશે. ઉમેદવારોને આ પ્રશ્નોના જવાબ આપવા માટે 210 મિનિટ, એટલે કે 3 કલાક અને 30 મિનિટનો સમય આપવામાં આવશે.
હાઇ-ટેક સુરક્ષા વ્યવસ્થા રહેશે અમલમાં
પરીક્ષા દરમિયાન સુરક્ષાના કડક ધોરણો અપનાવવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV સર્વેલન્સ, બાયોમેટ્રિક ચકાસણી, ઉમેદવારોની કડક તપાસ, સિગ્નલ જામર, ડાયનેમિક કમ્પ્યુટર ફાળવણી અને કેન્દ્રીય તેમજ પ્રાદેશિક કમાન્ડ સેન્ટર દ્વારા લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે.
આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે દેશભરમાં 60,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત પ્રશ્નપત્રોની સુરક્ષા માટે મલ્ટી-લેયર એન્ક્રિપ્શન અને સમયસર ડિજિટલ ડિક્રિપ્શન જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવાની અપીલ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા દરમિયાન અધિકારીઓને નિષ્પક્ષ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત પરીક્ષા યોજવાની સૂચના આપી હતી. તેમણે ઉમેદવારોને પેપર લીક અથવા અન્ય કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા અત્યંત સુરક્ષિત ડિજિટલ સિસ્ટમ હેઠળ હાથ ધરવામાં આવે છે. ઉપરાંત NBEMSએ નકલ, દલાલોની પ્રવૃત્તિઓ અથવા અન્ય ગેરરીતિઓ અંગે ફરિયાદ નોંધાવવા માટે ખાસ ઇ-મેઇલ સુવિધા પણ શરૂ કરી છે.
આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો છે, જેથી તમામ ઉમેદવારોને સમાન અને નિષ્પક્ષ તક મળી શકે.
US Visa મેળવતા પહેલાં જમા કરાવવા પડશે 17 લાખ! નિયમ કોને પડશે લાગુ જાણો
