દેશમાં ઘઉંની કોઈ કટોકટી નથી, સ્થાનિક જરૂરિયાત કરતાં વધારે છે ઉત્પાદન, કિંમત હજુ પણ MSP કરતા વધારે: કેન્દ્ર સરકાર
ઓપન માર્કેટમાં ઊંચા દરને કારણે, સરકારી ખરીદી લક્ષ્યાંક મુજબ થઈ શકી નથી. નિકાસ માટે વેપારીઓએ જોરદાર ઘઉંની ખરીદી કરી હતી. જો કે બાદમાં ઘઉંની નિકાસ (Wheat Export) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશમાં ઘઉંનું કોઈ સંકટ નથી. ખેડૂતો(Farmers)સ્થાનિક જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન કરી રહ્યા છે. આ વખતે માર્ચ મહિનામાં ભારે ગરમીના કારણે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ઓપન માર્કેટમાં ઊંચા દરને કારણે, સરકારી ખરીદી લક્ષ્યાંક મુજબ થઈ શકી નથી. નિકાસ માટે વેપારીઓએ જોરદાર ઘઉંની ખરીદી કરી હતી. જો કે બાદમાં ઘઉંની નિકાસ (Wheat Export)પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ઓછા ઉત્પાદન અને ખરીદીને ધ્યાનમાં રાખીને સંસદમાં સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું દેશમાં ઘઉંની અછત છે. તેના જવાબમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે દેશમાં ઘઉંનું કોઈ સંકટ નથી. તેમણે કહ્યું કે નિકાસ પર પ્રતિબંધ પછી પણ ઘઉંની કિંમત ન્યૂનતમ ટેકાના ભાવ કરતાં વધુ છે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં ઘઉંનું કોઈ સંકટ નથી કારણ કે ભારત તેની સ્થાનિક જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન કરે છે. તોમરે આ માહિતી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. તેમણે કહ્યું, “દેશમાં ઘઉંની કોઈ કટોકટી નથી કારણ કે ભારત તેની સ્થાનિક જરૂરિયાત કરતાં વધુ ઘઉંનું ઉત્પાદન કરે છે” .
તોમરે કહ્યું કે ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ, વર્ષ 2021-22 દરમિયાન ઘઉંનું ઉત્પાદન 10.64 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે છેલ્લા પાંચ વર્ષ (વર્ષ 2016-17 થી 2020-21) દરમિયાન ઘઉંના સરેરાશ ઉત્પાદન કરતાં વધુ છે. એટલે કે 10.38 કરોડ ટનથી વધુ. તેમણે કહ્યું હતું કે દેશની એકંદર ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા અને પડોશી અને સંવેદનશીલ દેશોની જરૂરિયાતોમાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ નીતિમાં સુધારો કર્યો છે.
ઘઉંના ભાવ હજુ પણ MSPથી ઉપર
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અંગે તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતોની આવક પર પ્રતિકૂળ અસર થઈ નથી, કારણ કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં તેમને સારા વળતરની કિંમત મળી રહી છે. તેમણે કહ્યું કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ પછી પણ તેની સ્થાનિક કિંમતો MSP કરતા ઉપર ચાલી રહી છે.
દેશની એકંદર ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા, પડોશી અને સંવેદનશીલ દેશોની જરૂરિયાતોને ટેકો આપવા માટે, ભારત સરકારે આ વર્ષે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમની સરકારો તરફથી મળેલી વિનંતીઓના આધારે અન્ય દેશોમાં નિકાસની મંજૂરી આપવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22માં ભારતે રેકોર્ડ 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી.