ભારતે ઈતિહાસ રચ્યો, પ્રથમ વખત કૃષિ ઉત્પાદનોની નિકાસ 50 બિલિયન ડોલરને પાર
Agriculture Export: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) સંકટ વચ્ચે વિશ્વના ઘણા દેશો અનાજ માટે ભારત તરફ નજર કરી રહ્યા છે. નિષ્ણાંતો નિકાસમાં હજુ વધારો થવાની ધારણા રાખી રહ્યા છે.
ખેતીમાં પ્રગતિની અસર દેખાવા લાગી છે. ઘઉં અને ચોખા સહિત અનેક કૃષિ પેદાશોની નિકાસમાં ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્ર સરકારે કૃષિ ઉત્પાદનો (Agri Product)ની નિકાસ સંબંધિત આખા વર્ષનો ડેટા જાહેર કર્યો છે. વર્ષ 2021-22 માટે કૃષિ ઉત્પાદનોની નિકાસ 50 બિલિયન ડોલરને વટાવી ગઈ છે. કૃષિ ઉત્પાદનોની આ અત્યાર સુધીની સૌથી વધુ નિકાસ છે. રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)સંકટ વચ્ચે વિશ્વના ઘણા દેશો અનાજ માટે ભારત તરફ નજર કરી રહ્યા છે. નિષ્ણાંતો નિકાસમાં હજુ વધારો થવાની ધારણા રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, 2021-22 દરમિયાન કૃષિ નિકાસ (Agriculture Export)19.92 ટકા વધીને 50.21 અબજ ડોલર થઈ છે. આ વૃદ્ધિ દર અદભૂત છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે 2020-21માં 41.87 બિલિયન ડોલરના કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષની આ સિદ્ધિ ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ સાબિત થશે. ચોખા (9.65 બિલિયન ડોલર), ઘઉં (2.19 બિલિયન ડોલર), ખાંડ (4.6 બિલિયન ડોલર) અને અન્ય અનાજ (1.08 બિલિયન ડોલર)ની નિકાસ કરવામાં આવી છે. ઘઉંની નિકાસમાં 273 ટકાનો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. જ્યારે ઘઉંની નિકાસ 2020-21માં 568 મિલિયન ડોલર હતી, તે 2021-22માં ચાર ગણી વધીને 2119 મિલિયન ડોલર થઈ ગઈ છે. જો કે બાસમતી ચોખાની નિકાસ ગયા વર્ષની સરખામણીએ ઘટી છે.
ક્યા ખેડૂતોને મળ્યો લાભ
કેન્દ્ર સરકારે કહ્યું છે કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના ખેડૂતોને આ ઉત્પાદનોની નિકાસમાં વધારો થવાથી ફાયદો થયો છે. ભારતે ચોખાના વિશ્વ બજારનો 50 ટકા હિસ્સો કબજે કર્યો છે. ખેડૂતોને નિકાસનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે, વાણિજ્ય વિભાગે ખેડૂતો અને FPO ને સીધા નિકાસ બજારના જોડાણો પ્રોવાઈડ કરવા માટે વિશેષ પ્રયાસો કર્યા છે.
કેટલી થઈ દરિયાઈ ઉત્પાદનોની નિકાસ
દરિયાઈ ઉત્પાદનોની નિકાસ અત્યાર સુધીની સૌથી વધુ 7.71 બિલિયન ડોલર રહી છે. તેનાથી પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના રાજ્યોના ખેડૂતોને ફાયદો થયો છે. મસાલાની નિકાસ સતત બીજા વર્ષે વધીને 4 બિલિયન ડોલર થઈ ગઈ છે. પુરવઠામાં અવરોધ હોવા છતાં કોફીની નિકાસ પ્રથમ વખત 1 બિલિયન ડોલરને વટાવી ગઈ, જેનાથી કર્ણાટક, કેરળ અને તમિલનાડુના કોફી ઉત્પાદકોને ફાયદો થયો છે.
વિભાગે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્રને સામેલ કરવા માટે વિશેષ પ્રયાસો કર્યા છે. કિસાન કનેક્ટ પોર્ટલ ખેડૂતો, એફપીઓ, સહકારી સંસ્થાઓને નિકાસકારો સાથે વાતચીત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે બનાવવામાં આવ્યું છે. આ પગલાંનું પરિણામ એ આવ્યું છે કે અત્યાર સુધી અજાણ્યા વિસ્તારોમાંથી ખેતીની નિકાસ થઈ રહી છે.
ક્યાંથી શું નિકાસ કરવામાં આવ્યું
વારાણસીમાંથી તાજી શાકભાજી અને કેરી, અનંતપુરથી કેળા, નાગપુરથી સંતરા, લખનૌથી કેરી, થેનીમાંથી કેળા, સોલાપુરમાંથી દાડમ તેમજ કૃષ્ણા તથા ચિત્તૂરથી કેરી જેવા ક્લસ્ટરોમાંથી નિકાસ કરવામાં આવી છે. બિન-પરંપરાગત ક્ષેત્રોમાંથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે ‘હેપ્પી બનાના’ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. રીફર કન્ટેનર સાથેની આ વિશેષ ટ્રેન અનંતપુરથી જેએનપીટી, મુંબઈ સુધી કેળા મોકલવા માટે છે.
રશિયા-યુક્રેન કટોકટી વચ્ચે અનાજ માટે ભારત તરફથી આશા
કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કોવિડ-19ના પ્રકોપને કારણે અનાજની માંગમાં વધારો થયો છે. આ વૃદ્ધિએ કૃષિ નિકાસ વધારવાની તકો પૂરી પાડી. રાજ્ય અને જિલ્લા સ્તરે સંસ્થાકીય માળખું અને મહામારીને કારણે ઊભા થતા અવરોધોને દૂર કરવાના વિશેષ પ્રયાસોને કારણે ભારતે પોતાને સાબિત કર્યું છે અને ખાદ્ય ચીજવસ્તુઓના વિશ્વસનીય સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધના તાજેતરના સંકટ છતાં, વિશ્વ ઘઉં અને અન્ય અનાજના પુરવઠા માટે ભારત તરફ જોઈ રહ્યું છે.
આ પણ વાંચો: Viral: સુટ-બુટ પહેરી ગોલગપ્પા અને ચાટ વેચતા યુવકના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-