સુરત : સરથાણામાં થયેલા ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો, લૂંટ માટેનો હતો આરોપીઓનો પ્લાન
સુરતના સરથાણા જકાતનાકા સ્થિત રાઈઝ ઓન પ્લાઝા જી-10 માં કલ્પેશભાઈ સોનીની માલિકીની સુખારામ જવેલર્સના નામે જવેલરી શોપ આવેલી છે. ગુરુવારે સાંજે 7.20ના અરસામાં એક બુકાનીધારી તેમની દુકાનની બહાર આવ્યો હતો.
સુરતના સરથાણા વિસ્તારમાં દિવાળી સમયે એક જવેલર્સની બહાર એક ઈસમ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોંડલથી 3 ઇસમોને ઝડપી પાડ્યા અને એક રિવોલ્વર કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જેમાં 20 લાખની ખંડણી માટે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે.
સુરતના સરથાણા જકાતનાકા સ્થિત રાઈઝ ઓન પ્લાઝામાં આવેલા સુખારામ જવેલર્સ પર ગુરુવારે સાંજે એક બુકાનીધારીએ અલગ અલગ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા દુકાનદારે દુકાન બંધ કરી ત્યાંથી ચાલ્યા જવાની ફરજ પડી હતી. જોકે, બનાવ અંગે જવેલર્સ દ્વારા તરત પોલીસને જાણ કરવાને બદલે ફાયરીંગના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ સુરત પોલીસના સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. અને તે સમયે ફરિયાદ કરવા ઇન્કાર કરતા પોલીસે સ્થળ પરથી ત્રણ કારતુસ કબજે કરી એફએસએલમાં મોકલ્યા હતા.અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.
આરોપીના નામ
૧) મિહિર શૈલેષભાઇ ડોબરીયા, રહેવાસી : ગામ-બાલાપર તા-જામ-કંડોરણા, જી-રાજકોટ (૨) દર્શન ભીમાભાઇ રાઠોડ, રહેવાસી : ગામ-લીલીયા (ઉમિયા મંદિર પાસે), તા-જી-લીલીયા (૩) જય મગનભાઇ તેજાણી
આખી વિગતની વાત કરવામાં આવે તો સુરતના સરથાણા જકાતનાકા સ્થિત રાઈઝ ઓન પ્લાઝા જી-10 માં કલ્પેશભાઈ સોનીની માલિકીની સુખારામ જવેલર્સના નામે જવેલરી શોપ આવેલી છે. ગુરુવારે સાંજે 7.20ના અરસામાં એક બુકાનીધારી તેમની દુકાનની બહાર આવ્યો હતો. અને દુકાન પર એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આથી દુકાનદાર અને સ્ટાફના એક વ્યક્તિએ કાચનો દરવાજો ખોલ્યો ત્યારે ફાયરીંગ કરનાર દરવાજા પાસે ઉભો રહી ગયો હતો અને હથિયાર તાક્યું હતું.
બાદમાં તે દુકાનથી થોડે દૂર જઈ ઉભો રહેતા દુકાનદાર અને સ્ટાફના વ્યક્તિએ કાચનો દરવાજો બંધ કરવા માંડયો. ત્યારે તે વ્યક્તિએ તેમના તરફ હથિયાર તાકી વારાફરતી ફાયરીંગ કરતા દુકાનદારે તેમની બેગ જયારે સ્ટાફના વ્યક્તિએ થેલી ધરી બચવાનો પ્રયાસ કર્યો હતો. તે પછી તરત બંનેએ દુકાનનો મુખ્ય દરવાજો બંધ કર્યો હતો. અને જતા હતા ત્યારે ફાયરીંગ કરનારે ફરી તેમના તરફ હથિયાર તાક્યું હતું.
ફાયરીંગની આ ઘટના અંગે સુરત પોલીસે ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. ત્યારે આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સાવલિયાની ટીમે માહિતી અને સીસીટીવીના આધારે ત્રણ ઇસમોની ધરપકડ કરી છે. જેમાં એક યુવકને સુરતથી અને બે ઇસમોને ગોંડલથી ઝડપી પાડ્યા અને એક રિવોલ્વર કબ્જે કરી છે.
જ્યારે આરોપીને પૂછપરછ કરતા હકીકત એવી જાણવા મળી હતી કે દિવાળીના સમયે લૂંટ કરવા અને લૂંટ ના થાય તો ખંડણી માંગવા માટે આ ફાયરિંગ કર્યું હતું. વધુમાં આ લોકોએ એવો પ્લાન કર્યો હતો કે એક વ્યક્તિ ફાયરિંગ કરે અને બીજા લોકો લૂંટ કરવા જવેલર્સમાં જશે. પણ ફાયરિંગ સમયે બીજા વ્યક્તિએ સંભળાયું નહિ જેથી બીજા આરોપીઓ લોકોને જોઈ ભાગી ગયા હતા.