બેંક લોકરમાં મૂકેલા ₹50 લાખના ઘરેણાં અચાનક ગાયબ! વર્ષો પછી મહિલાએ લોકર ખોલ્યું તો હોશ ઊડી ગયા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વૃદ્ધ મહિલાએ 2003 માં બેંક લોકરમાં રૂ. 50 લાખના સોના-ચાંદીના ઘરેણાં મૂક્યા હતા. પતિના અવસાન બાદ વર્ષો પછી જ્યારે તેમણે લોકર ખોલ્યું તો તે સંપૂર્ણપણે ખાલી નીકળ્યું.

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધ મહિલાએ બેંકના લોકરમાં રાખેલા આશરે રૂ. 50 લાખના સોના અને ચાંદીના ઘરેણાં ગાયબ થઈ ગયા છે. બેંકના લોકરને સામાન્ય રીતે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ આ વૃદ્ધ મહિલા માટે તે એક દુઃસ્વપ્ન સાબિત થયું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રશ્મિ અરોરા નામના મહિલા જ્યારે પોતાનું બેંક લોકર ખોલવા ગયા ત્યારે તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે તેમાં રાખેલા લાખો રૂપિયાના દાગીના ગાયબ હતા. મહિલાએ વર્ષ 2003 માં ‘સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર’ (SBT) ના લોકરમાં પોતાના ઘરેણાં મૂક્યા હતા. જોકે, વર્ષો પછી જ્યારે તેમણે લોકર ખોલ્યું ત્યારે તે સાવ ખાલી મળ્યું હતું.
2003 માં બેંક લોકરમાં રાખ્યા હતા ઘરેણાં
રશ્મિ અરોરા અને તેમના પતિએ સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરમાં લોકર ખોલાવ્યું હતું. તેમણે લોકરમાં રૂ. 50 લાખના દાગીના રાખ્યા હતા અને સમયાંતરે બેંક શાખાની મુલાકાત લઈને ઘરેણાં તપાસતા હતા. જોકે, થોડા વર્ષો પછી રશ્મિના પતિનું અવસાન થયું અને તેઓ કાનપુરના સ્વરૂપ નગરથી લખનૌ ખાતે પોતાની પુત્રી અને જમાઈ સાથે રહેવા જતા રહ્યા. અંતર વધુ હોવાને કારણે અને પોતાના કિંમતી દાગીના બેંકમાં સુરક્ષિત છે તેવા વિશ્વાસ સાથે તેમણે બેંક શાખામાં જઈને લોકર ઓપરેટ કરવાનું બંધ કરી દીધું હતું.
બેંક મર્જર અને ખાતું ડિએક્ટિવેટ થવાની જાણ થઈ
ચાર મહિના પહેલાં, રશ્મિ તેમની નાની પુત્રી સાથે બેંક શાખામાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમને મોટો આંચકો લાગ્યો. તેમને જણાવવામાં આવ્યું કે સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરનું હવે અલગ અસ્તિત્વ નથી અને તેનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં વિલીનીકરણ (મર્જર) થઈ ગયું છે.
આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા મહિલા જરૂરી દસ્તાવેજો સાથે બીજી વાર બેંક શાખામાં ગયા. ત્યાંના બ્રાન્ચ મેનેજરે તેમને જણાવ્યું કે આટલા વર્ષોથી લોકર ચાર્જ પેટે તેમના ખાતામાંથી નાણાં આપમેળે કપાતા હતા, જેના કારણે ખાતામાં ઝીરો બેલેન્સ થઈ ગયું હતું અને એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ ગયું હતું.
21 જુલાઈના રોજ, મહિલાએ લોકર સાથે લિંક થયેલા પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા અને તેને ફરીથી એક્ટિવ કરાવ્યું. જોકે, તે દિવસે તેઓ લોકરની ચાવી લાવવાનું ભૂલી ગયા હતા. તેથી તેમણે બીજી અઠવાડિયું રાહ જોવી પડી અને આખરે 27 જુલાઈના રોજ ચાવી મળતાં તેઓ બેંક પહોંચ્યા.
લોકર ખોલતાં જ ઘરેણાં ગાયબ મળ્યા
જ્યારે તેમણે તેમને ફાળવવામાં આવેલું લોકર નંબર 23 ખોલ્યું, ત્યારે તેમને બીજો મોટો આંચકો લાગ્યો. લોકર સંપૂર્ણપણે ખાલી હતું અને તેમના તમામ દાગીના ગાયબ હતા. આ ઘટના બાદ મહિલાએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને બેંકના કર્મચારીઓ તથા મેનેજમેન્ટ સામે પોતાની સંપત્તિનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બ્રાન્ચ મેનેજર અને સ્ટાફ સામે એફઆઈઆર (FIR) નોંધી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. દાગીનાનું શું થયું તે બરાબર સમજવા માટે તેઓ લોકરના રેકોર્ડ્સ, બેંકના દસ્તાવેજો અને તે ચોક્કસ શાખાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ ચકાસી રહ્યા છે.
