ગુજરાત ATSએ ISIS મોડ્યુલનો કર્યો પર્દાફાશ, પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા, સોશિયલ મીડિયાથી યુવાનોમાં ભડકાવતા કટ્ટરવાદ
માહિતીના આધારે ગુજરાત ATSએ પોરબંદરમાં ધામા નાખ્યા હતા અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઉમેદ મીર, હનાન શોલ અને મોહમ્મદ હાજીમ નામના શ્રીનગરના ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.
Ahmedabad : ગુજરાત ATSએ રથયાત્રા પહેલા જ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી છે જે લોકો IS ખુરાસાન સાથે સંકળાયેલા છે. ISIS સાથે સંકળાયેલા પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટે ચાર આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજરાત ATSને માહિતી મળી હતી કે, ત્રણ શખ્સો પોરબંદરના દરિયાઇ માર્ગેથી અફઘાનિસ્તાન અને ત્યારથી ઇરાન જવાના ફિરાકમાં છે. તેથી માહિતીના આધારે ગુજરાત ATSએ પોરબંદરમાં ધામા નાખ્યા હતા અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઉમેદ મીર, હનાન શોલ અને મોહમ્મદ હાજીમ નામના શ્રીનગરના ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.
અબુ હમઝા નામના હેન્ડલ દ્વારા કટ્ટરવાદી બન્યા
ATSએ આરોપીઓની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે આ ત્રણેય યુવકો અબુ હમઝા નામના હેન્ડલ મારફતે કટ્ટરવાદી બન્યા હતા અને ત્યારબાદ તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિઝનમાં જોડાયા હતા. વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સુરતના સૈયદપુરામાં રહેતી સુમેરાબાનુ નામની મહિલા પણ તેમના મોડ્યુલમાં સામેલ છે. તેથી ગુજરાત ATSએ સુરત ક્રાઇમ બ્રાંચની મદદથી સુમેરાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસને સુમેરાના ઘરેથી વોઇસ ઓફ ખુરાસાન નામનું પ્રકાશન પણ મળી આવ્યું હતું.
સુમેરાબાનુએ ભાજપ અને RSSના કાર્યાલયોની રેકી કરી હતી
સુમેરાની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે, તે ISISના હેન્ડલરના સંપર્કમાં હતી. એટલું જ નહિં કાશ્મીરના ઝુબેર મુનશી સાથે ગાઢ સંબંધો ધરાવે છે. એટલું જ નહિં વધુ ખુલાસો થયો છે કે સુમેરા ભાજપ અને RSSના કાર્યાલયોની રેકી પણ કરી હતી. તો આરોપીઓ પાસેથી પોલીસને કેટલાક મહત્વના ડિજિટલ ડિવાઇઝ મળી આવ્યા છે. જેમાં લેપટોપ અને મોબાઇલનો પણ સમાવેશ થાય છે.
હિજરત કરનારા ચાર યુવાનોના વીડિયો પણ મળી આવ્યા
આ મોબાઇલ અને લેપટોપમાંથી કેટલીક ફાઇલ અને ચાર યુવાનોના વીડિયો પણ મળી આવ્યા છે. જે હિજરત કરવાના છે. એટલું જ નહિં તેમના આકાઓની ઓડિયો ક્લિપ પણ મળી આવી છે. આ દસ્તાવેજોની તપાસ કરતા ખુલાસો થયો કે, આતંકી હેન્ડલરે આરોપીઓને પોરબંદર પહોંચવા સૂચના આપી હતી અને ત્યાં ફિશિંગ બોટમાં મજૂર તરીકે નોકરી પણ લેવાના હતા. એટલું જ નહિં આ બોટના કપ્તાનનો ઉપયોગ કરીને નિર્ધારિત કરેલા સ્થળે પહોંચવાના હતા. ત્યાંથી તેઓ ઇરાન માટે રવાના થવાના હતા. એટલું જ નહિં નકલી પાસપોર્ટ મારફતે ખોરાસાન પહોંચવાના હતા અને ત્યાં આતંકી પ્રવૃતિઓની ટ્રેનિંગ પણ લેવાના હતા.