Ahmedabad : ATMમાં પૈસા ઉપાડતા સમયે કોઇની મદદ લેતા ચેતી જજો, સોલા હાઇકોર્ટ પોલીસના હાથે એક શખ્સ ઝડપાયો
આરોપી નાગજી રબારી લાંબા સમય સુધી ATMની બહાર પોતાના શિકારની શોધમાં રહેતો. અને જ્યારે કોઈ અશિક્ષિત અથવા ઉંમરલાયક વ્યક્તિ મળી આવે તો તેને મદદ કરવાના બહાને ATM સેન્ટરમાં જઈ મદદ કરવાના બહાને કાર્ડ બદલી તેનો પાસવર્ડ જાણી લેતો હતો.
Ahmedabad : જો તમે ATM મશીનમાં પૈસા ઊપાડવા જાઓ છો તો ચેતી જજો. કારણ કે સોલા પોલીસે એવા આરોપીની ધરપકડ કરી છે. જે આરોપી ATM મશીનમાં જઈ નજર ચૂકવી ATM કાર્ડ પડાવી લઈ પૈસા પડાવી લેતો હતો. જે આરોપીએ 15 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. સાથે આરોપી પાસેથી અલગ અલગ વ્યક્તિના નામના ATM કાર્ડ પણ મળી આવ્યા છે.
સોલા હાઇકોર્ટ પોલીસે એક એવા શખ્સને ઝડપી પાડ્યો કે જે લોકોની નજર ચૂકવી ATM કાર્ડ બદલી તેમના પાસવર્ડ જાણી ખાતામાંથી નાણાં ઉપાડી લેતો. જેનું નાગજી રબારી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી તેને શહેરનાં સોલા, નારણપુરા, ઇસનપુર , ઓઢવ , સહિતના અલગ અલગ વિસ્તારોમાં ATM કાર્ડ બદલી લોકોના રૂપિયા પડાવ્યા હતા. જોકે સોલા વિસ્તારમાં ચોરી કરવા જતાં વોચમાં રહેલી પોલીસે ATM સેન્ટરનો દરવાજો બંધ કરી લોકોની મદદથી તેને ઝડપી પાડયો. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
શું હતી આરોપીની મોડ્સ ઓપરેન્ડી ?
આરોપી નાગજી રબારી લાંબા સમય સુધી ATMની બહાર પોતાના શિકારની શોધમાં રહેતો. અને જ્યારે કોઈ અશિક્ષિત અથવા ઉંમરલાયક વ્યક્તિ મળી આવે તો તેને મદદ કરવાના બહાને ATM સેન્ટરમાં જઈ મદદ કરવાના બહાને કાર્ડ બદલી તેનો પાસવર્ડ જાણી લેતો હતો. સાથે જ આરોપી AMTSમાં કંડકટર હોવાનું જણાવી પોતાને ઉતાવળ હોવાનું બહાનું કાઢી ATM છોડી ફરાર થઈ જતો હતો. જોકે તેની આ શાણપણ વધુ ન ચાલી અને તે ઝડપાઇ ગયો.
નાગજી રબારીનો ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે અગાઉ પણ તે 30 જેટલા ગુનામાં ઝડપાયો હતો. જેમાં કડીમાં ATM મશીન ચોરી કરી હોવાની હકીકત સામે આવી છે. ત્યારે હવે આરોપી નાગજી રબારીની પૂછપરછમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. પણ આ ઘટના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે લોકોએ હજુ પણ વધુ સજાગ બનાવની જરૂર છે. જેથી અન્ય કોઈ આ પ્રકારની ઘટનાઓ ભોગ ન બને અને તેઓએ પોતાના નાણાં ગુમાવવાનો વારો ન આવે.
આ અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તાર અને શહેરમાં અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારના બનાવ સામે આવ્યા. જે બનાવમાં પકડાયેલ શખ્સ કે તેની સાથે સંડોવાયેલ કોઈ વ્યક્તિ હોય અને તેની કોઈ સંડોવણી હોય કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેથી ભોગ બનનારાઓને તેમના નાણાં પરત અપાવી ન્યાય અપાવી શકાય.
આ પણ વાંચો : કબૂતરબાજીની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ
આ પણ વાંચો : Ahmedabad : ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે યુઝર ચાર્જિસમાં વધારો નહીં કરાય