ભારત સરકારના આ ત્રણ નિર્ણયથી દેશમાં આયાતમાં ઘટાડા સાથે નિકાસ વધશે, જાણો વિગતવાર
કેબિનેટે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ માટેના સુધારાને મંજૂરી આપવામાં આવી છે. ટેક્નોલોજી નોડ્સ તેમજ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ, પેકેજિંગ અને અન્ય સેમિકન્ડક્ટર સુવિધાઓ માટે 50% પ્રોત્સાહન આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના આત્મનિર્ભર ભારત(Aatma Nirbhar Bharat)ના વિચારને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે 3 નિર્ણયો લીધા છે. આ નિર્ણયોમાં સોલાર પીવી માટે PLI સ્કીમનું વિસ્તરણ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને વધુ આકર્ષક બનાવવા ઉપરાંત નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીને મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. જો આ ત્રણેયને ઊંડાણમાં જોવામાં આવે તો તેનાથી 2 મોટા ફાયદા થશે. પ્રથમ અન્ય દેશોમાંથી આયાત ઓછી થશે અને ભારત વધુ નિકાસ કરી શકશે અને બીજું સૌર અને સેમિકન્ડક્ટર સંબંધિત ઉત્પાદનોની કિંમતો ઓછી થશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકારે સોલર પીવી મોડ્યુલની બીજી PLI સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ માટે 19,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયથી દેશમાં સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગને વેગ મળશે અને આયાત પરની નિર્ભરતા ઓછી થશે. તેમજ દેશ નિકાસ કરવાની સ્થિતિમાં હશે.
સેમિકન્ડક્ટર, ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ સંબંધિત નિર્ણયો
કેબિનેટે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ માટેના સુધારાને મંજૂરી આપવામાં આવી છે. ટેક્નોલોજી નોડ્સ તેમજ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર્સ, પેકેજિંગ અને અન્ય સેમિકન્ડક્ટર સુવિધાઓ માટે 50% પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી 2 લાખ લોકોને પ્રત્યક્ષ અને 8 લાખ લોકોને પરોક્ષ રોજગાર મળશે.
ભારત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગનું હબ બનશે
ઉલ્લેખનીય છે કે ચીનની ઝીરો-કોરોના પોલિસીના કારણે દુનિયામાં સેમિકન્ડક્ટર્સની અછતનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિમાં ઘણા ઉત્પાદનોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરમાં સમાવિષ્ટ ઉત્પાદનોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જો ભારત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગનું હબ બની જશે તો આ સમસ્યા હલ થઈ જશે.
નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીને મંજૂરી
કેબિનેટની બેઠકમાં નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. 17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાને લોજિસ્ટિક્સ પોલિસી જાહેર કરતી વખતે જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય જીડીપીના 13-14 ટકાના વર્તમાન સ્તરથી લોજિસ્ટિક્સ ખર્ચને એકમ અંકમાં લાવવાનો છે. આ પોલિસી દ્વારા સરકાર લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં સુધારો કરવા અને 2030 સુધીમાં ટોચના 25 દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખે છે.
નાણામંત્રી નિર્મલા સીતા રામન દ્વારા 1 ફેબ્રુઆરી 2021 ના રોજ નાણાકીય વર્ષનું બજેટ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમાં મુખ્યત્વે આત્મનિર્ભર યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના સમયમાં દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ ભારત સરકાર અને રિઝર્વ બેંક દ્વારા રૂ. 27.1 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જે દેશના જીડીપીમાં 13% ફાળો આપે છે.