Bank Privatisation: ચાલુ વર્ષે સરકારી બેંકોનું ખાનગીકરણ મુશ્કેલ, જાણો સરકારનો પ્રયાસ કેમ પડયો વિલંબમાં
સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં દેશની બીજી સૌથી મોટી રિફાઇનરી બીપીસીએલમાં પોતાનો હિસ્સો વેચવા માંગે છે
Bank Privatisation: એક રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષ (Financial Year)માં બે બેન્કોનું ખાનગીકરણ(Privatisation) શક્ય બનશે નહીં. સરકાર તેને આગામી વર્ષ માટે પણ મુલતવી રાખી રહી છે. સરકારે હજુ સુધી બેંકોના ખાનગીકરણ અંગે સંસદમાંથી જરૂરી મંજૂરી તરફ કોઈ પગલું ભર્યું નથી. એક મીડિયા રિપોર્ટ મુજબ નાણાં મંત્રાલયે ખાનગીકરણને લગતી અંતિમ પદ્ધતિઓ હજુ સુધી નક્કી કરી નથી.
સૂત્રએ કહ્યું છે કે કોરોના મહામારીને કારણે ખાનગીકરણ અને વિનિવેશની તૈયારીઓ ધીમી પડી છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં દેશની બીજી સૌથી મોટી રિફાઇનરી બીપીસીએલમાં પોતાનો હિસ્સો વેચવા માંગે છે. હવે આ પ્રક્રિયા પણ ધીમી પડી છે. એવું લાગતું નથી કે ચાલુ નાણાકીય વર્ષમાં BPCL નું પણ ખાનગીકરણ કરવામાં આવશે.
બે બેન્કોનું ખાનગીકરણ કરવાનું આયોજન 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા સરકારે વિનિવેશ અને ખાનગીકરણ માટે 1.75 લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો હતો. નાણામંત્રીએ જાહેર કર્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બે બેન્કો અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. આ સિવાય LIC IPO લાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સરકાર બીપીસીએલમાં પોતાનો હિસ્સો વેચીને પણ ભંડોળ એકત્ર કરશે. હાલમાં ભંડોળ એકત્ર કરવાના ત્રણેય માધ્યમોએ અપેક્ષા મુજબ કામ કર્યું નથી. આ કામ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું હોય તેમ લાગે છે.
DIPAM એ કામગીરીને વેગ આપ્યો FICCIના એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં DIPAM ના સચિવ તુહીનકાંત પાંડેએ કહ્યું હતું કે કોવિડ -19 ને કારણે વિનિવેશ પ્રક્રિયામાં થોડો વિલંબ થઈ શકે છે પરંતુ વ્યાપકપણે વિનિવેશની પહેલ આગળ વધી છે. અમે તેને ચાલુ નાણાકીય વર્ષમાં જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. DIPAM જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં સરકારના હિસ્સાના વેચાણનું સંચાલન કરે છે.
FDI માટે નિયમો હળવા કર્યા બીપીસીએલ ખાનગીકરણમાં કોઈ સમસ્યા ન આવે તે માટે કેબિનેટે જાહેર ક્ષેત્રની રિફાઇનરી કંપનીઓમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) ને વર્તમાન 49 ટકાથી વધારીને 100 ટકા કરવાની દરખાસ્તને મંજૂરી આપી. હાલમાં, ઓટોમેટિક રૂટ હેઠળ જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSUs) દ્વારા પ્રમોટ કરવામાં આવેલી ઓઇલ રિફાઇનરીઓમાં 49 ટકા FDI ની મંજૂરી છે. આ મર્યાદાને ચાલુ રાખીને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) કોઈપણ વિદેશી કંપનીને વેચી શકાતી નથી.
આ પણ વાંચો: Petrol Diesel Prices: 17 દિવસથી નથી બદલાયા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો શું છે ઓઇલ કંપનીઓની આગળની તૈયારીઓ
આ પણ વાંચો: Insurance privatisation અંગે મોટા સમાચાર, લોકસભાની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણ માટે લીલી ઝંડી