તમે પગારદાર છો ? કંપનીએ હજુ સુધી તમને ફોર્મ 16 આપ્યું નથી, તો પણ તમે ITR ફાઇલ કરી શકો છો, જાણો કેવી રીતે
જો તમે પગારદાર હોવ અને તમને કંપની તરફથી હજુ સુધી આવકવેરાને લગતું ફોર્મ 16 ન મળ્યું હોય તો પણ તમે સરળતાથી આવકવેરાનું વાર્ષિક રિટર્ન ફાઇલ કરી શકો છો. આના માટે તમારે કેટલાક વધુ મહત્વપૂર્ણ દસ્તાવેજો એકઠા કરવા પડશે.

જો તમે પગારદાર કર્મચારી હોવ અને હજુ સુધી તમને કંપની તરફથી કોઈ કારણસર ફોર્મ 16 મળ્યું ના હોય, તો પણ તમે ITR સરળતાથી ફાઇલ કરી શકો છો. ભારતમાં પગારદાર કર્મચારીઓ માટે, આવકવેરાનું વાર્ષિક રિટર્ન ભરવા માટે ફોર્મ 16 એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે. ફોર્મ 16 એ જે તે કંપની દ્વારા કરપાત્ર આવક ધરાવતા કર્મચારીઓને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) અને પગાર ઘટક વિગતો સાથે આપવામાં આવે છે. જે બાદ કર્મચારીઓ, તેના આધારે આવકવેરા રિટર્ન ભરવાનું હોય છે.
આવકવેરાના નિયમો મુજબ, દરેક એમ્પ્લોયરે ટીડીએસને આધીન આવક ધરાવતા કર્મચારીઓને ફોર્મ 16 આપવાનું હોય છે. જો કે, ફોર્મ 16 સમયસર ન આપવાના કિસ્સાઓ ઘણીવાર હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને, કંપની તરફથી ફોર્મ 16 આપવામાં આવ્યું નથી, તો તે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) પણ ફાઈલ કરી શકે છે. કારણ કે ફોર્મ 16 વગર પણ ITR ફાઈલ કરવું હવે શક્ય છે.
ટેક્સ નિષ્ણાતો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે, આકારણી વર્ષ 2023-24 માટે ફોર્મ 16 વિના આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું શક્ય છે. જ્યારે ફોર્મ 16 નો ઉપયોગ સામાન્ય રીતે પગારદાર કર્મચારીઓ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે કરવામાં આવે છે. તેની વૈકલ્પિક પદ્ધતિઓ પણ ઉપલબ્ધ છે.
ફોર્મ-16 વગર પણ ઈન્કમ ટેક્સ રિટર્ન આ રીતે ફાઇલ કરો
ફોર્મ-16 વગર પણ ઈન્કમ ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઈલ કરવું તે અંગે, SAG ઇન્ફોટેક જણાવ્યું કે, ફોર્મ 16ના હોય તો પણ કરદાતા, કર મુક્તિ અંગેનો દાવો કરવા માટે, રોકાણના અધિકૃત રેકોર્ડ તેમજ અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોજેમ કે, ખર્ચ ચુકવણીની રસીદો અને ફોર્મ 26AS નો ઉપયોગ કરીને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાય છે.
ફોર્મ 16 વિના ITR ફાઈલ કરવા માટે આટલું કરો
સૌ પ્રથમ તમારે સંબંધિત નાણાકીય વર્ષની તમામ મહિનાની પગાર સ્લિપ એકત્રિત કરવાની રહેશે. આ સ્લિપમાં પગાર, ભથ્થાં, કપાત અને અન્ય આવકના સ્ત્રોતોની વિગતો હોવી જરૂરી છે.
પગારની સ્લિપમાંથી મેળવેલ માહિતીનો ઉપયોગ કરીને, કરપાત્ર આવકની ગણતરી, મૂળભૂત પગાર, ભથ્થાં, બોનસ વગેરે સહિત પગારના તમામ ઘટકોને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. પ્રમાણભૂત કપાતપાત્ર આવક પર પહોંચવા માટે ઘર ભાડા ભથ્થું (HRA), કપાત અને વ્યાવસાયિક કર જેવી કેટલીક કપાત ઘટાડવી પડશે.
તમારે તમારા પગાર સિવાયની આવકના વધારાના સ્ત્રોતો, જેમ કે વ્યાજની આવક, ડિવિડન્ડ અથવા અન્ય કોઈપણ પ્રકારની આવકને ઓળખવા માટે તમારી બેંક વિગતોની સમીક્ષા કરવી જોઈએ. કરપાત્ર આવકની ગણતરીમાં આ રકમનો સમાવેશ થવો જોઈએ.
ફોર્મ 26AS ની ચકાસણી કરવી મહત્વપૂર્ણ છે, જેને IT વિભાગની વેબસાઇટ દ્વારા એક્સેસ કરી શકાય છે. ફોર્મ 26AS વ્યક્તિના PAN સામે કાપવામાં આવેલા અને જમા કરાયેલા તમામ કરની એકીકૃત વિગતો જાણી શકાય છે. તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ફોર્મ 26AS માં દર્શાવેલ TDS વિગતો ગણતરી કરેલ આવકની વિગતો સાથે મેળ ખાય છે કે નહી.
આના પર વિશેષ ધ્યાન આપો
આ પગલાંને અનુસરીને અને જરૂરી સહાયક દસ્તાવેજો પ્રદાન કરીને, વ્યક્તિઓ ફોર્મ 16 પર આધાર રાખ્યા વિના સફળતાપૂર્વક તેમની ITR ફાઇલ કરી શકે છે. એકવાર રિટર્ન ફાઈલ થઈ જાય, તેને ઈ-વેરીફાઈ કરવાનું યાદ રાખો. ઈ-વેરિફિકેશન વગર ફાઈલ કરેલ ITR અધૂરુ છે અને આવકવેરા વિભાગ દ્વારા પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. નાણાકીય વર્ષ 2022-23 (AY 2023-24) માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.