રવિવારથી ફરી શરૂ થશે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, 2 વર્ષ પહેલા લાદવામાં આવ્યો હતો પ્રતિબંધ
23 માર્ચ 2020 થી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન બંધ છે. કોવિડ મહામારીની પ્રથમ લહેરના આગમન સાથે, તેના પર રોક લાગી હતી.
કોવિડ-19 મહામારીને (covid -19) રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ રવિવારથી ભારતમાંથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ( international flights) ફરી શરૂ થવા જઈ રહી છે. બે વર્ષ પછી, એરપોર્ટ અને એરલાઇન્સે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવા માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી છે. ભારતીય એરલાઇન્સ ઉપરાંત, અમીરાત અને વર્જિન એટલાન્ટિક જેવી વિદેશી એરલાઇન્સ પણ નિયમિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. રાજધાની દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) ને અપેક્ષા છે કે, એપ્રિલના પ્રથમ સપ્તાહથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં નોંધપાત્ર વધારો થશે.
ઉડ્ડયન ક્ષેત્રને મળશે નવું જીવન
મહામારીને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયેલ ઉડ્ડયન ઉદ્યોગ ધીમે ધીમે પાટા પર આવી રહ્યો છે અને નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થવાથી તેમાં નવો ઉત્સાહ આવવાની સંભાવના છે. 23 માર્ચ 2020 થી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન બંધ છે. કોવિડ મહામારીની પ્રથમ લહેરના આગમન સાથે, તેના પર રોક લાગી હતી અને સમય જતાં પ્રતિબંધ વધતો ગયો. પરંતુ હવે આ પ્રતિબંધ ખતમ કરવાનો સમય આવી ગયો છે. રવિવારથી ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નિયમિતપણે શરૂ થશે.
જોકે કેટલાક દેશો સાથે બાયો-બબલ વ્યવસ્થા હેઠળ કોરોના સમયગાળા દરમિયાન પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે, તે મર્યાદિત વ્યવસ્થા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 8 માર્ચે જાહેરાત કરી હતી કે 27 માર્ચ, 2022 થી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થશે. આ સાથે કોવિડ નિવારણ સંબંધિત જોગવાઈઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
સર્વિસમાં ઝડપી રીકવરીની કોશીશમાં એરલાઇન્સ
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોના ચીફ કોમર્શિયલ ઓફિસર વિલી બોલ્ટરે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈન્ડિગો આંતરરાષ્ટ્રીય કામગીરીને કોવિડ પહેલાના સ્તરે લઈ જવા આતુર છે, પરંતુ તે અન્ય દેશોના આગમનના નિયમો પર પણ નિર્ભર રહેશે. દેશના સૌથી મોટા એરપોર્ટ IGIAનું સંચાલન કરતી કંપની ડીઆઈએએલએ આશા વ્યક્ત કરી છે કે, અહીંથી 60 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થશે.
કોરોનાને કારણે જે સેક્ટરને સીધી અસર થઈ હતી તેમાં સૌથી મોખરે એવિએશન સેક્ટર હતું. લોકોના સંપર્કથી ફેલાતા રોગને કારણે, ફ્લાઇટ્સ લાંબા સમય સુધી સંપૂર્ણપણે બંધ હતી, તે પછી જ્યારે પ્રતિબંધો હટાવવામાં આવ્યા, ત્યારે ઉદ્યોગને ખૂબ જ મર્યાદિત ક્ષમતા સાથે ઉડાન શરૂ કરવી પડી. આ સાથે, વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યા પણ ખૂબ મર્યાદિત હતી. જો કે, પ્રતિબંધો હટાવવાની સાથે, ઉડ્ડયન ક્ષેત્ર ટૂંક સમયમાં ફરી પાછું પાટા પર આવી જશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો : રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એર જૂનથી ભરશે ઉડાન, કંપનીને 5 વર્ષમાં 72 એરક્રાફ્ટ સુધી પહોંચવાની આશા