Navratri 2022 : ચોથા નોરતે આ વિધિ સાથે કરો મા કુષ્માંડાની આરાધના, રોગ અને શોકનું થશે શમન
કહે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે દેવી કુષ્માંડાએ (Kushmanda)જ બ્રહ્માંડની રચના કરી હતી. દેવી કુષ્માંડા જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાનું સામર્થ્ય અન્ય કોઈમાં નથી !
આજે નવરાત્રીનો (Navratri 2022) ચોથો દિવસ છે. આ ચોથું નોરતું એટલે નવદુર્ગાના (navdurga) કુષ્માંડા (kushmanda) સ્વરૂપની પૂજાનો અવસર. નવદુર્ગાના વિધ વિધ સ્વરૂપના પ્રાગટ્ય સાથે વિધ વિધ કથાઓ જોડાયેલી છે. તેવી જ રીતે મા કુષ્માંડાના સ્વરૂપ સાથે પણ રોચક કથા સંકળાયેલી છે. ત્યારે આવો, તે કથાને જાણીએ અને કયા પૂજન દ્રવ્યોથી દેવી કુષ્માંડાની કૃપા પ્રાપ્ત કરી શકાય તે વિશેષ માહિતી મેળવીએ.
ચોથું નોરતું
આસો સુદ ચોથ, તારીખ 29 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ ચોથું નોરતું છે. આ દિવસે આદ્યશક્તિના કુષ્માંડા સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવો. દેવી કુષ્માંડાનું સ્વરૂપ સૂર્ય સમાન તેજસ્વી છે. દેવીની આઠ ભુજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે.
કુષ્માંડા માહાત્મ્ય
કહે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે દેવી કુષ્માંડાએ જ બ્રહ્માંડની રચના કરી હતી. એટલે કે દેવી કુષ્માંડા જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ મા કુષ્માંડામાં જ છે. દેવી કુષ્માંડાના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ જ દેદીપ્યમાન છે. મા કુષ્માંડા અત્યંત ઓછી સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે. ચોથા નોરતે મા કુષ્માંડાનું આહ્વાન કરી તેમના મંત્રનો જાપ કરવામાં આવે છે.
મા કુષ્માંડાની પૂજન વિધિ
⦁ મા કુષ્માંડાના પૂજન સમયે તેમને ચમેલીનું પુષ્પ અર્પણ કરવું જોઇએ.
⦁ નૈવેદ્યમાં માતાજીને માલપુઆ અર્પણ કરવા જોઇએ.
⦁ માતાજીને ફળ પ્રસાદ રૂપે નાસપતી ધરાવવું જોઈએ.
⦁ માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે આજે સાધકે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. પીળા વસ્ત્ર ધારણ કરવાથી સાધકનું મન દિવસભર પ્રફુલ્લિત રહે છે.
ફળદાયી મંત્ર
।। ૐ એં હ્રીં ક્લીં કુષ્માંડાયૈ નમ : ।।
મા કુષ્માંડાની કૃપાને પ્રાપ્ત કરવા સાધકે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ.
ફળપ્રાપ્તિ
માન્યતા અનુસાર જે મનુષ્ય નવરાત્રી દરમ્યાન આસ્થા સાથે મા કુષ્માંડાની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે, તેના પરિવારમાં યશ, બળ, આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. મા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ, શોક મટી જાય છે. સાથે જ જે સાધકને સૂર્ય સંબંધિત કોઇ દોષ સતાવતો હોય તો તેને તે દોષમાંથી મુક્તિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે માતા કુષ્માંડા.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)