Mahashivratri: મહાશિવરાત્રિએ શિવજીને અર્પણ કરો એક પુષ્પ અને મેળવો અપાર આશિષ
મહાશિવરાત્રિએ મહાદેવના ભક્તો માત્ર શુદ્ધ ભાવથી ભોળાનાથની પૂજા અર્ચના કરે છે તો પણ શિવજી પ્રસન્ન થઇને તેમને સઘળા આશિષ આપે છે. આજના દિવસે જો વ્યક્તિ શિવાલયમાં જ્યાં શક્ય હોય ત્યાં શિવજીની ઉપાસના અમુક પુષ્પ દ્વારા કરશે તો તેમને પ્રાપ્ત થશે શિવજીની વિશેષ કૃપા.
મહાશિવરાત્રિ (mahashivratri) એટલે ભોળાનથને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અવસર. આ અવસર આ વખતે 1 માર્ચ, મંગળવારના રોજ પ્રાપ્ત થયો છે. કહેવાય છે કે આજના દિવસે કરવામાં આવતા વિવિધ પુષ્પના ઉપાયોથી મહાદેવની સવિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર આ દિવસે આસ્થા સાથે મહેશ્વરની પૂજા કરવાથી તે ભક્તની સઘળી મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.
માત્ર સાચા હૃદયથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ભોળાનાથની ભક્તિ કરવામાં આવે તો તે તેમના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે. કારણ કે ભગવાન શિવ ખૂબ ભોળા છે. પરંતુ, કેટલાક એવા વિશેષ પૂજા વિધાન પણ છે, જે મહાશિવરાત્રીએ કરવા માત્રથી આપને શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આજે તે જ વિશે વિગતે જાણીએ.
વિવિધ પુષ્પથી પ્રાપ્ત કરો વિવિધ લાભ
- લાલ અને સફેદ આંકડાનું પુષ્પ ભગવાન શિવજીને અર્પણ કરવાથી આપને મોક્ષની પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે. મૃત્યુ બાદ આપની આત્માને સદ્ગતિ પ્રાપ્ત થશે.
- અળસીના પુષ્પ વડે શિવજીની આરાધના કરવાથી મનુષ્ય વિષ્ણુ ભગવાનને પ્રિય બને છે. એટલે કે એક પુષ્પ વડે કરવામાં આવતી પૂજા આપને અપાવશે શિવ સંગ વિષ્ણુના આશીર્વાદ.
- ચમેલીના પુષ્પ દ્વારા શિવજીની પૂજા વિધિ કરવાથી સુશીલ કન્યા સાથે વિવાહનો યોગ બને છે. સુંદર અને સુશીલ કન્યા સાથે આપના વિવાહ થશે.
- જૂઇના પુષ્પ સાથે જો ભોળાનથને ભજવામાં આવે તો આપના ઘરમાં ક્યારેય અન્નની અછત નથી રહેતી. હંમેશા આપના ઘરના અન્નના ભંડાર ભરેલા રહે છે.
- કરેણના પુષ્પોથી ભોળાનાથ શંભુની પૂજા કરવાથી નવા વસ્ત્રોની આવક થાય છે.
- પારિજાતના પુષ્પથી મહાદેવની પૂજા અર્ચના કરવાથી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ પુષ્પ વડે શિવજીને ભજવાથી આપના પરિવાર પર હંમેશા શિવજીની કૃપા બની રહેશે.
- ધતૂરાના પુષ્પો ભગવાન શિવને અર્પણ કરવાથી સુયોગ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે .જે સંતાન સમય જતાં આપના પરિવારનું નામ રોશન કરે છે.
- જો આપના ઘરમાં કોઇપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે મહાશિવરાત્રિના દિવસે ઘરની પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં બીલીનું વૃક્ષ ઉગાડવું જોઇએ. ત્યારબાદ નિયમિત રીતે આ ઝાડને જળ અર્પણ કરવા રહેવું. મહાશિવરાત્રિના રોજ સાંજના સમયે આ ઝાડની નીચે ઘી નો દીવો પ્રજવલિત કરવાથી આપના ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : જીવનની સમગ્ર પીડાનું શમન કરશે આ મહાશિવરાત્રી, જાણો શિવજીના ફળદાયી અભિષેક
આ પણ વાંચો : મહાશિવરાત્રિએ અજમાવો આ અત્યંત સરળ ઉપાય, મનની બધી જ ઈચ્છા પૂર્ણ કરશે મહાદેવ !