AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri: શું તમને ખબર છે કે ધરતીના કયા સ્થાન પર થયા હતા શિવ-પાર્વતીના વિવાહ ?

આ એ સ્થાન છે કે જ્યાં અખંડ અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે. કહે છે કે આ અગ્નિની સાક્ષીએ જ શિવ-પાર્વતીએ લગ્નના ફેરાં ફર્યા હતા ! અહીં જ હિમવાને પુત્રી પાર્વતીનું કન્યાદાન કર્યું હતું અને શ્રીવિષ્ણુએ પાર્વતીના ભાઈ તરીકેની તમામ જવાબદારી નિભાવી હતી !

Mahashivratri: શું તમને ખબર છે કે ધરતીના કયા સ્થાન પર થયા હતા શિવ-પાર્વતીના વિવાહ ?
triyuginarayan temple
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 28, 2022 | 6:32 AM
Share

મહાશિવરાત્રી (mahashivratri) એ શિવપાર્વતીના વિવાહનો દિવસ મનાય છે. પ્રચલિત માન્યતા એવી છે કે આ જ મહારાત્રીએ શિવ-પાર્વતી વિવાહના બંધનમાં બંધાયા હતા. ત્યારે અમારે આજે આપને એ સ્થાન વિશે જણાવવું છે કે જેને શિવ-પાર્વતીના વિવાહના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને આ સ્થાન એટલે ઉત્તરાખંડનું ત્રિયુગી નારાયણ ધામ. (triyuginarayan)

ઉત્તરાખંડ (Uttarakhand) રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં ત્રિયુગી નારાયણ કરીને ગામ આવેલું છે. અને આ ગામની મધ્યે જ શોભી રહ્યું છે ત્રિયુગી નારાયણનું સુંદર મંદિર. પ્રચલિત કથા અનુસાર ત્રિયુગી નારાયણ એટલે એ જ દિવ્ય ભૂમિ કે જ્યાં સ્વયં શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા ! કહે છે કે અહીં જ હિમવાને તેમની પુત્રી પાર્વતીનું કન્યાદાન કર્યું હતું. અહીં જ શ્રીવિષ્ણુએ ભ્રાતા બની બહેન પાર્વતીના લગ્નની તમામ જવાબદારી નિભાવી હતી. અને અહીં જ મહેશ્વરે પાર્વતીનું પાણિ ગ્રહણ કરી અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફર્યા હતા !

અખંડ અગ્નિના દર્શન

આ ભૂમિ પર દર્શનાર્થે આવનાર ભક્તોને એક અખંડ અગ્નિના દર્શન થાય છે. લોકવાયકા અનુસાર આ જ પવિત્ર અગ્નિની સાક્ષીએ શિવ-પાર્વતીએ સાત ફેરા ફર્યા હતા. અને કહે છે કે ત્યારથી જ આ અગ્નિ આમ જ પ્રજ્વલીત છે. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આ અગ્નિ ક્યારેય નથી ઓલવાતો ! ભયંકર પૂર કે ભારે બરફવર્ષાના સંજોગોમાં પણ અગ્નિ અખંડ જ રહે છે ! અને એ જ જાણે આ સ્થાનની પવિત્રતાની સાક્ષી પૂરે છે.

કેમ કહેવાયું ત્રિયુગી નારાયણ ?

દંતકથા એવી છે કે ત્રિયુગી નારાયણમાં જ શ્રીહરિએ વામન રૂપે અવતાર લીધો હતો. એટલે કે આ સ્થાન વામનદેવની જન્મભૂમિ મનાય છે ! અહીં મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં પ્રભુના વામન સ્વરૂપના ભક્તોને દર્શન થાય છે. માતા પાર્વતીના પિતા હિમવાન પરમ વિષ્ણુ ભક્ત હતા. અને તે સમયે આ સ્થાન તેમની રાજધાની હતું. તેમણે તેમના આરાધ્ય શ્રીવિષ્ણુના સાનિધ્યે જ પાર્વતીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. અને પછી ત્રેતાયુગમાં અહીં જ વિવાહની તમામ વિધિઓ સંપન્ન થઈ.

ઉલ્લેખનીય છે કે શિવ-પાર્વતીના વિવાહ સમયનો તે અગ્નિ આજે પણ અખંડપણે પ્રજ્વલિત છે. ત્રેતાયુગ, દ્વાપરયુગ અને આજે કળિયુગમાં પણ તે અગ્નિ પ્રજ્વલિત છે. ત્યારે ત્રણ યુગના સાક્ષીપણાંને લીધે જ આ સ્થાન ત્રિયુગી નારાયણના નામે ખ્યાત થયું છે !

વિવાહ માટેની શ્રેષ્ઠ ભૂમિ !

સામાન્ય રીતે મંદિરોમાં પ્રભુના દર્શનાર્થે ભીડ ઉમટતી હોય છે. પરંતુ, ત્રિયુગી નારાયણ મંદિર દર્શનાર્થીઓની સાથે લગ્નવાંચ્છુકોની આસ્થાનું પણ કેન્દ્ર બન્યું છે. કુંવારી કન્યાઓ શિવ જેવાં પતિની કામના સાથે અહીં વ્રત રાખે છે ! અને કહે છે કે નારાયણ તેમની કામના ઝડપથી પરિપૂર્ણ કરે છે. જો કે આજે તો આ સ્થાન જાણે વિવાહ માટે સર્વોત્તમ સ્થાન બની ગયું છે. જે ભૂમિ પર સ્વયં શિવ-પાર્વતી લગ્નના બંધને બંધાયા હોય તે ભૂમિની પવિત્રતા માટે બીજી સાક્ષી ભલાં કઈ જોઈએ ? અને એ જ કારણ છે કે ઘણાં યુવક-યુવતિ અહીં જ લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે. ન માત્ર ઉત્તરાખંડમાંથી પરંતુ, સમગ્ર ભારતમાંથી લોકો વિવાહ માટે અહીં આવે છે !

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો: ઘરમાં શિવલિંગની સ્થાપના સમયે શું રાખશો ધ્યાન? જાણો, ગૃહમાં શિવપૂજાના નિયમ !

આ પણ વાંચો: મહાદેવની પૂજામાં વર્જિત છે આ વસ્તુઓ, અર્પણ કરવાથી ભોલેનાથ થાય છે ક્રોધિત

g clip-path="url(#clip0_868_265)">