Bhakti: જગત કલ્યાણની કામના અને અક્રમ વિજ્ઞાનના પ્રહરી દાદા ભગવાન
દાદા ભગવાનના નામથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. જેમણે અક્રમ વિજ્ઞાન ચળવળ ચલાવી અને મુક્તિનો એક નવો જ માર્ગ સમગ્ર વિશ્વ સામે પ્રશસ્ત કર્યો તે છે દાદા ભગવાન. આજે દાદા ભગવાનની 114મી જન્મતિથી છે. ત્યારે આવો તેમના અદભૂત કાર્યોને સમજવાનો પ્રયત્ન કરીએ.
દાદા ભગવાનને ભાવિકો દાદાશ્રીના હુલામણા નામે પણ બોલાવે છે. પણ, તેમનું મૂળ નામ હતું અંબાલાલ મૂળજીભાઈ પટેલ. કહે છે કે જ્ઞાની પુરુષ તો એવાં હોય જે સ્વયં મુક્ત હોય અને તેનામાં બીજા અનેકોને પણ મુક્તિ અપાવવાનું સામર્થ્ય હોય. દાદા ભગવાન એક એવી જ વિભૂતિ હતા. તેમનો જન્મ 7 નવેમ્બર, 1908ના રોજ વડોદરા નજીકના તરસાળી ગામમાં થયો હતો. તે કારતક સુદ ચૌદસની તિથિ હતી. કહે છે કે એક બાળક તરીકે તેઓ વિશેષ ગુણો ધરાવતા હતા.
દાદા ભગવાનની વિચારસરણી તેમની ઉંમરથી પર હતી. તેમને માતા ઝવેરબા તરફથી અહિંસા, ઉદારતા અને અનુકંપાના ગુણો બાળપણથી જ વારસામાં મળ્યા હતા. ઝવેરબાએ તેમને કહ્યું હતું કે “તું ભલે માર ખાઈને આવે, પણ કોઈ દહાડો કોઈને મારીને ન આવતો.” બાળપણથી જ તેમનો સ્વભાવ પરગજુ હતો. તેઓ હંમેશા જ બીજાની મદદ કરવા તત્પર રહેતા. બાળપણથી જ તેમનું મન આદ્યાત્મિક ખોજ તરફ વળી ગયું અને યુવાવસ્થાએ પહોંચતા તો તેમની આ મનશા વધુ દ્રઢ બની.
અઢાર વર્ષની ઉંમરે હીરાબા સાથે તેમના લગ્ન થયા. હીરાબા અને દાદા ભગવાન અત્યંત સરળ જીવન જીવતા. કહે છે કે તે ધંધામાંથી જરૂરિયાત જેટલી જ રકમ ઘરે લઈ જતા. તેમણે પોતાની વ્યક્તિગત જરૂરિયાત માટે ક્યારેય કોઈને પાસેથી રૂપિયા લીધા ન હતા. અલબત્, સંસારની આ ઘટમાળ વચ્ચે અંબાલાલજીની સત્યને પામવાની ઝંખના વધુને વધુ દ્રઢ થઈ રહી હતી અને આખરે, એ દિવસ આવી પહોંચ્યો.
અક્રમ વિજ્ઞાનનું પ્રાગટ્ય જૂન મહિનાની એક સાંજે જાણે અંબાલાજીની અનંત જન્મોની ખોજ એક અદભુત આશ્ચર્યમાં પરિણમી અને તેમની અંદર કુદરતી રીતે જ અપૂર્વ એવા અક્રમ વિજ્ઞાનનું પ્રાગટ્ય થયું. જેને લીધે તેઓ દાદા ભગવાન બન્યા. તે સાંજે બનેલી અસાધારણ ઘટનામાં એક સંશોધકનું જાણે સંપૂર્ણ આત્મજ્ઞાની પુરુષમાં રૂપાંતર થયું. જૂન ૧૯૫૮ માં તેઓ સુરત રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૩ ની બેંચ પર બેઠા હતા. તે સમયે લગભગ ૬ વાગ્યાનો સમય હતો.
કહે છે કે આ સમયે તેમનો આત્મા સંપૂર્ણ નિરાવરણ થયો. લગભગ એક કલાકમાં તેમને વિશ્વદર્શન થયું. બ્રહ્માંડનાં તમામ રહસ્યો ખુલ્લા થયા અને હું કોણ છું, ભગવાન કોણ છે, જગત કેવી રીતે ચાલે છે, કર્મ શું છે અને મુકિત શું છે ? એવા તમામ આદ્યાત્મિક પ્રશ્નોના તેમને જવાબ મળ્યા.
આ ઘટના બાદ દાદા ભગવાને એક આંદોલન શરૂ કર્યું. જેને તેમણે અક્રમ વિજ્ઞાન ચળવળ એવું નામ આપ્યું. અક્રમ વિજ્ઞાન એ સિમંધર સ્વામીની કૃપાથી ત્વરિત મુક્તિનું વચન આપે છે. દાદાશ્રીએ મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવવાનું શરૂ કર્યું. જયારે સત્સંગની વાત આવે ત્યારે પરમ પૂજ્ય દાદાશ્રીએ કદી પોતાની નાજુક તબિયત કે આરામ પર ધ્યાન આપ્યુ નહોતું. બધા લોકોને આ અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે તેઓ દેશવિદેશમાં પોતાનાં ખર્ચે પરિભ્રમણ કરતાં.
દાદા ભગવાનનો સત્સંગ હમેંશા પ્રશ્નોત્તરી સ્વરૂપમાં રહેતો. તેમના જવાબ પ્રશ્નકર્તાની ચોક્કસ જરૂરિયાતને અનુરૂપ રહેતા, જે અચૂકપણે મુમુક્ષુની જીજ્ઞાસાનો અંત લાવતા. અક્રમ વિજ્ઞાન દ્વારા તેઓ બધા શાસ્ત્રોનો સાર કાઢી મુમુક્ષુઓને ફક્ત આદ્યાત્મિક જીવન માટે જ નહીં પણ રોજબરોજનાં સંસારિક જીવન માટે પણ એક નવીન, સચોટ અને સરળતાથી લાગુ પાડી શકાય તેવું માર્ગદર્શન આપી શક્યા.
2 જાન્યુઆરી ૧૯૮૮ માં જગત કલ્યાણનું મિશન, પૂજ્ય નીરુમાં અને તેમનાં સહાધ્યાયી પૂ.દીપકભાઈનાં સક્ષમ હાથોમાં મૂકીને, પરમ પૂજ્ય દાદાશ્રીએ સ્થૂળ દેહ છોડી દીધો. પણ, જગત કલ્યાણની તેમની કામનાને પરિપૂર્ણ કરવાના પ્રયાસ આજે પણ દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા અવિરતપણે ચાલી રહ્યા છે.
આ પણ વાંચો : કાર્તિક પુર્ણિમા પર રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, દૂર થશે જીવનની તમામ મુશ્કેલીઓ
આ પણ વાંચો : કાર્તિક પૂર્ણિમાએ અચૂક કરો આ પાંચ કામ ! ધન, સ્વાસ્થ્ય અને સન્માનની થશે પ્રાપ્તિ