Ahmedabad શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 500 પોલીસકર્મીઓથી કેમ છે નારાજ?
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Ahmedabad Police Commissioner Sanjay Srivastava) શહેરમાં 500 પોલીસ કર્મીઓથી નારાજ છે. આ 500 પોલીસ કર્મીઓ વિરુદ્ધ શું એક્શન લઈ શકાય? એ મુદ્દે શહેરના તમામ DCPઓને સુચન કરવા પણ જણાવ્યું છે.
Ahmedabad: અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Ahmedabad Police Commissioner Sanjay Srivastava) શહેરમાં 500 પોલીસ કર્મીઓથી નારાજ છે. આ 500 પોલીસ કર્મીઓ વિરુદ્ધ શું એક્શન લઈ શકાય? એ મુદ્દે શહેરના તમામ DCPઓને સુચન કરવા પણ જણાવ્યું છે. શહેર પોલીસ કમિશનરની નારાજગીનું કારણ કોરોનાની વેક્સિન (Corona Vaccine) છે. આ 500 પોલીસકર્મીઓ એવા છે કે જેમણે હજુ સુધી વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી.
આ 500 પોલીસ કર્મીઓનું લિસ્ટ પણ અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ રૂમ પાસે છે. આગામી દિવસોમાં આ પોલીસ કર્મીઓને વેક્સિન અપાવવાની જવાબદારી શહેરના તમામ પોલીસ ઈન્સ્પેક્ટરોને સોંપવામાં આવે તો પણ નવાઈ નહીં. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે IPS અધિકારીઓની મંગળવાર સાંજે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો કોઈ પોલીસકર્મી કોઈપણ બહાનું બતાવીને વેક્સિન ન લે તો તેના બહાનાની તપાસ કરવી અને જો કોઈ ખોટા કારણ આગળધરી આનાકાની કરે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની નારાજગીનું કારણ એ છે કે છેલ્લા દોઢ વર્ષની અંદર અમદાવાદ શહેર પોલીસના કુલ 19 પોલીસ કર્મચારીઓના કોરોનાના કારણે નિધન થયા છે, જેમાં એકમાત્ર પોલીસકર્મીએ કોરોનાની વેક્સિન લીધી હતી, જ્યારે 18 પોલીસ કર્મીઓએ વેક્સિન લીધી નહોતી. શહેર પોલીસ કમિશનર પોતાના તાબાના તમામ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારોની સુરક્ષા ના કારણે નારાજ થયા હતા.
ઉપરાંત શહેરના બે આઈપીએસ અધિકારીઓને પોલીસ કમિશનરે જવાબદારી સોંપી હતી કે જો પોલીસ પરિવારના બાળકો જો ત્રીજી લહેરમાં સંક્રમિત થાય તો કઈ રીતે બચાવી શકાય? તે મુદ્દે બાળરોગ નિષ્ણાંત અને AMA (અમદાવાદ મેડિકલ એસો.)ના નિષ્ણાંતો સાથે મીટીંગ કરવા અને જરૂરી પગલાં લેવા પણ સૂચના આપી હતી. એટલું જ નહીં જે 19 પોલીસ કર્મીઓના નિધન થયા છે તેમના પરિવારને પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ કઈ રીતે આર્થિક મદદ કરી શકાય તે અંગે તપાસ કરી તેમને મદદરૂપ થવા પણ સૂચનાઓ આપી હતી.