Rajkot: આજી ડેમ પોલીસ સ્ટેશનમાં મહીલાની આત્મહત્યા મુદ્દે પોલીસની બેદરકારી છે કે નહી તે જાણવા મેજીસ્ટ્ર્રેટ કરશે તપાસ
મહીલા બાથરૂમ જવાનુ બહાનુ કરીને બાથરૂમમાં ગઈ હતી અને ત્યાં જ ગળાફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી. ત્યારે આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ (Rajkot Police) શરૂ થયો છે.
રાજકોટના (Rajkot Latest News) આજી ડેમ પોલીસ સ્ટેશનમાં એક મહીલાએ આત્મહત્યા કરી હતી. પ્રાથમિક માહિતિમાં જાણવા મળ્યું હતું કે, પોલીસે આ મહીલાને કોઈ અન્ય ગુનામાં પુછપરછ માટે બોલાવી હતી. ત્યારે મહીલા બાથરૂમમાં ગઈ હતી અને ત્યાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બનાવ સમયે પોલીસ સ્ટેશનમાં હાજર વ્યક્તિઓના નિવેદન લેવામાં આવશે. પોલિસ સ્ટેશનમાં આત્મહત્યાનો બનાવ એ ગંભીર મામલો છે. જેમાં ક્યાંકને પોલીસની બેદરકારી પણ જણાય છે.
ઉચ્ચકક્ષાના અધિકારીઓ કરશે તપાસ
સામાન્ય રીતે કોઈપણ પોલીસમાં કસ્ટોડીયલ ડેથ હોય જેમાં આરોપીનુ પોલીસના મારથી કે, આત્મહત્યા દ્વારા મૃત્યુ થયુ હોય ત્યારે મેજીસ્ટ્રેટ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે આ કેસમાં પણ મેજીસ્ટ્રેટ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે રાજકોટ પોલિસ કમિશ્નર દ્વારા પણ તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. મળતી માહીતી મુજબ આજ સાંજ સુધીમાં સમગ્ર મામલાની તપાસ એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા સોપવામાં આવશે.
જેમાં આ મહીલાની અટકાયત કરવામાં આવી હતી કે કેમ ? જે સમયે બનાવ બન્યો તે સમયે પોલીસ સ્ટેશનમાં કોણ-કોણ હાજર હતું? આ કિસ્સામાં કોઇની બેદરકારી છે કે કેમ? તપાસ બાદ જો કોઈ જવાબદાર જણાશે તો અથવા તો બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.