Breaking News: સમુદ્રમાં યુદ્ધના ભણકારા! ભારત આવી રહેલા થાઈલેન્ડના જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટમાં ભયાનક હુમલો, 23 નાવિકો ફસાયા
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત તરફ આવી રહેલા થાઈલેન્ડના કાર્ગો શિપ પર મિસાઈલ કે ડ્રોન હુમલો થયો છે. 23 નાવિકો સાથે સવાર આ જહાજ પરથી જીવ બચાવવા લોકો દરિયામાં કૂદી પડ્યા હતા.
વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં આજે એક ગંભીર ઘટના બની છે. થાઈલેન્ડની કંપની પ્રિસિયસ શિપિંગના માલિકીનું અને ભારત તરફ આવી રહેલું વિશાળકાય કાર્ગો જહાજ ‘મયુરી નારી’ (Mayuree Naree) હુમલાનો શિકાર બન્યું છે. હુમલા બાદ જહાજમાંથી કાળા ધુમાડાના ગોટા નીકળતા દેખાયા હતા, જેના કારણે નાવિકોમાં નાસભાગ મચી ગઈ હતી.
બચાવ કામગીરી અને રહસ્યમય હુમલો
જહાજ પર કુલ 23 નાવિકો સવાર હતા. રોયલ થાઈ નેવીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 20 નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે, જ્યારે 3 નાવિકો હજુ પણ જહાજ પર જ ફસાયેલા છે. આ હુમલો મિસાઈલ દ્વારા થયો કે ડ્રોન દ્વારા તે હજુ સ્પષ્ટ થયું નથી અને કોઈ સંગઠને આની જવાબદારી સ્વીકારી નથી. નોંધનીય છે કે આ જ દિવસે અન્ય બે જહાજો પર પણ હુમલા થયા હોવાના અહેવાલ છે.
ભારત અને વિશ્વ પર શું થશે અસર?
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાની ‘એનર્જી લાઈફલાઈન’ છે, કારણ કે વિશ્વનો 20% તેલ અને ગેસનો પુરવઠો અહીંથી પસાર થાય છે.
મોંઘવારીમાં વધારો: આ હુમલાને કારણે તેલના વૈશ્વિક ભાવમાં ઉછાળો આવી શકે છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડશે.
શિપિંગ વીમો: દરિયાઈ માર્ગ અસુરક્ષિત બનતા શિપિંગ વીમો મોંઘો થશે, જે નિકાસ-આયાત પર બોજ વધારશે.
ઈરાન દ્વારા અગાઉ અપાયેલી ધમકીઓને પગલે આ વિસ્તારમાં તણાવ ચરમસીમાએ છે. જો આ માર્ગ લાંબો સમય પ્રભાવિત રહેશે, તો વૈશ્વિક અર્થતંત્રમાં મોટી કટોકટી સર્જાઈ શકે છે અને સ્થિતિ મોટા લશ્કરી ટકરાવ તરફ પણ જઈ શકે છે.
