યોગી આદિત્યનાથે સુરતમાં સંબોધી ચૂંટણી સભા, કહ્યું ‘મોદી હે તો મુમકિન હે એ માત્ર સ્લોગન નથી, વાસ્તવિક્તા છે’
Gujarat Election 2022: ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતમાં પ્રચાર માટે આવેલા છે. સુરતમાં ચૂંટણી સભા દરમિયાન તેમણે જણાવ્યુ કે મોદી હૈ તો મુમકિન હૈ એ માત્ર સ્લોગન નથી વાસ્તવિક્તા છે. યોગીએ શુક્રવારે મોરબી અને સુરતમાં એમ બે ચૂંટણી સભા સંબોધી હતી.
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે સુરતમાં ચૂંટણી સભા સંબોધી હતી. પ્રચાર માટે આવેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બે ચૂંટણી રેલી સંબોધી હતી. પહેલા તેમણે મોરબીના વાંકાનેરમાં અને ત્યારબાદ સુરતમાં સભા સંબોધી હતી. યોગીએ સુરતમાં સભા દરમિયાન જણાવ્યુ કે પીએમ મોદીની દૃઢ ઈચ્છાશક્તિને કારણે જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યુ છે. 2024 સુધીમાં રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. વધુમાં તેમણે કહ્યું કે કાશીમાં કાશીવિશ્વનાથધામ પીએમ મોદીના વિઝન તેમના નેતૃત્વ અને માર્ગદર્શનનું જ પરિણામ છે.
ગુજરાત ચૂંટણી 2022: ‘પીએમ મોદીના વિઝનને કારણે જ ધાર્મિક સ્થાનોની કાયાપલટ થઈ રહી છે’ યોગી
યોગી આદિત્યનાથે જણાવ્યુ કે પીએમ મોદીના વિઝનને કારણે ધાર્મિક સ્થાનોની કાયાપલટ થઈ, સોમનાથ મંદિરના પુનરુદ્ધાર સહિત ભવ્ય પરિસરના નિર્માણનું કામ, દ્વારકાધામને ભવ્ય સ્વરૂપ આપવાનો કાર્યક્રમ, ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદરીનાથધામને ભવ્ય સ્વરૂપ આપવાની વાત હોય કે પછી ઉજ્જૈનમાં મહાકાલને મહાલોક સ્વરૂપે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની વાત હોય, આ માત્રને માત્ર પીએમ મોદીના વિઝન અને તેમની દીર્ઘ દૃ્ષ્ટિને કારણે શક્ય બન્યુ છે.
યોગીએ વધુમાં જણાવ્યુ કે કોરોના મહામારી દરમિયાન કોંગ્રેસ સહિત અન્ય રાજનીતિક દળો કોઈ ઘરની બહાર નીકળતા ન હતા. એ સમયે પીએમ મોદીની પ્રેરણાથી જ ભાજપે એક સંકલ્પ લીધો હતો કે સેવા જ સંગઠન છે. જ્યાં બિમાર છે ત્યાં ઉપચાર છે એ મંત્ર પણ પીએમ મોદીએ જ આપ્યો હતો. વધુમાં યોગીએ જણાવ્યુ કે મોદી હૈ તો મુમકિન હે એ માત્ર સ્લોગન નથી, વાસ્તવિક્તા પણ છે.