દિવના વિશ્વાસ ભાલિયાએ PM મોદીને જણાવ્યું કે, પોતે પ્લેન ક્રેશમાં કેવી રીતે બચી ગયો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jun 13, 2025 | 4:39 PM

એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં અનેક હતભાગી યાત્રિકોની સાથે દિવનો વિશ્વાસ ભાલિયા અને તેનો ભાઈ અજય ભાલિયા પણ સવાર હતા. પરંતુ એર ઈન્ડિયાની ક્રેશ થયેલ ફ્લાઈટમાં વિશ્વાસ આબાદ બચી ગયો જ્યારે તેનો ભાઈ અજયને અન્ય પ્રવાસીઓની સાથે મોત આંબી ગયું.

કેન્દ્ર શાસિત પ્રદેશ દિવનો વિશ્વાસ કુમાર ભાલિયા અને તેના ભાઈ અજય ભાલિયા, બન્ને માદરે વતન આવ્યા બાદ કર્મભૂમિ લંડન પાછા જઈ રહ્યાં હતા. વતનમાં સગા વ્હાલા, મિત્રો સંબંધીઓને મળીને અનેક સ્વપ્ન સાથે જન્મભૂમિથી પાછા કર્મભૂમિ જઈ રહ્યાં હતા. અજય અને વિશ્વાસ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટમાં અલગ અલગ જગ્યાએ બેઠા હતા.

અમદાવાદથી વિમાન ટેકઓફ થયાને માત્ર ચાર જ મિનિટમાં વિમાન મેધાણીનગર ઘોડા કેમ્પ પાસે આવેલ રેસીડન્ટ ડોકટરના હોસ્ટેલ-મેસ ઉપર તુટી પડ્યું. એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા અજય ભાલિયા અન્ય મુસાફરનો સાથે મૃત્યુ પામ્યો. પરંતુ તેના ભાઈ વિશ્વાસ ભાલિયાનો આબાદ બચાવ થયો હતો.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિશ્વાસ ભાલિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂબરૂ મળ્યા હતા. વિશ્વાસ ભાલિયાને સધિયારો આપવાની સાથે પીએમ મોદી સમગ્ર ઘટનાથી વાકેફ પણ થયા હતા. આ પછી વિશ્વાસ ભાલિયાએ જણાવ્યું હતું કે, વિમાન ક્રેશ થવાની સાથે તેના ટુકડા થયા હતા. પોતે જે સ્થળે પડ્યો ત્યા જમીન હતી. સીટ બેલ્ટનો પટ્ટો ખોલીને તે દોડવા લાગ્યો એ દરમિયાન તેના શરીરના ડાબા અંગમાં વિમાન ક્રેશ થવાની સાથે લાગેલી આગની જાળ લાગી હતી.

દુર્ઘટના સ્થળેથી ચાલતા ચાલતા સામેથી આવતા, બચાવ અને રાહત માટે દોડી રહેલા સ્થાનિકોને પહેલા તો વિશ્વાસ જ ના આવ્યો કે, આ વિશ્વાસ વિમાનમાં સવાર હતો અને બચી ગયો છે. તેણે કહ્યું કે તે દાઝી ગયો છે ત્યારે સ્થાનિકોએ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે રવાના કર્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 13, 2025 04:38 PM
Follow Us