Ahmedabad: બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયા
બેવડી ઋતુના કારણે બીમારીઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) નાના બાળકો, વૃદ્ધો તો બીમારીઓની ચપેટમાં આવી જ રહ્યા છે. સાથે જ યુવાઓ પણ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે.
ગુજરાતમાં એક તરફ શિયાળાની ઠંડીમાં વધારો થતો જઇ રહ્યો છે. બીજી તરફ કમોસમી વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે બેવડી ઋતુના કારણે બીમારીઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં નાના બાળકો, વૃદ્ધો તો બીમારીઓની ચપેટમાં આવી જ રહ્યા છે. સાથે જ યુવાઓ પણ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. નાના બાળકોમાં ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે. તો આ સાથે જ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલ્ટી સહિતનો રોગચાળો પણ અમદાવાદ શહેરમાં વકરી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે.
વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ
રાજ્યમાં બેવડી ઋતુઓને કારણે વધુ ને વધુ લોકો બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયા છે. બાળકો પણ વાયરલ ઇન્ફેક્શન ફેલાઇ રહ્યું છે. જેના કારણે કુલ પૈકી 15 ટકા બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે. બાળકોમાં તાવ, શરદી અને ઉધરસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
ઓરીના રોગચાળામાં વધારો
બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે. જેમાં બાળકોમાં દરરોજ નવા 10 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને AMCના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે.. આરોગ્ય તંત્રએ અમદાવાદ શહેર, જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીઓને માર્ગદર્શિકા સાથેનો પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે બાળકોમાં જો ઓરીના લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક ધોરણે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં તેની સારવાર માટે મોકલી આપવા.આ દરમિયાન અસરગ્રસ્ત બાળકને શાળામાં રજા આપવાની રહેશે.જ્યાં સુધી બાળક સ્વસ્થ ન થાય ત્યાં સુધી શાળાએ ન મોકલવા શાળાએ વાલીને જાણ કરવાની રહેશે.