RAJKOT : આર.કે. ગ્રૂપના સીઝ કરવામાં આવેલા બેંક લોકરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યાં
RK Group IT Raid : આવકવેરા વિભાગે આર.કે. ગ્રૂપના 25 બેંક લોકરો સીઝ કર્યા છે, જેમાંથી પહેલું લોકર ખોલવામાં આવ્યું છે.
RAJKOT : શહેરના આર.કે. ગ્રૂપ સામે આવકવેરા વિભાગે તપાસ તેજ કરી છે.આર.કે. ગ્રૂપના સીઝ કરેલા 25 બેન્ક લૉકરમાંથી આવકવેરા વિભાગના અધિકારીઓએ પહેલું લોકર ખોલતા જ અઢળક રોકડ મળી આવી છે. આલોકરમાંથી રૂ.૩ કરોડ રોકડા મળી આવ્યા છે અને હજી બાકીના 24 બેન્ક લૉકર ખુલ્યા બાદ વધુ રોકડ રાક્મ હાથ લાગે તેવી સંભાવના છે. આવકવેરા વિભાગના દરોડામાં અત્યાર સુધીમાં આર.કે. ગ્રૂપના 350 કરોડથી વધુના બિનહિસાબી આર્થિક વ્યવહારો ઝડપાઈ ચૂક્યા છે.. મહત્વનું છે કે રાજકોટમાં જન્માષ્ટમી પૂર્વે આર.કે.ગ્રૂપ પર ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.જેની તપાસ હજી પણ યથાવત છે. આવકવેરા વિભાગને હજી વધુ ટેક્સચોરીના દસ્તાવેજો, રોકડ, સોનું વગેરે મળવાની આશા છે.
રાજકોટના નામાંકીત બિલ્ડર ગ્રુપ આર.કે અને ગંગદેવ ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગનો ચાર-પાંચ દિવસ સુધી સર્વે ચાલ્યો હતો. આર.કે ગ્રુપની ઓફિસો અને રહેણાંક મકાનને બાદ કરતા મોટાભાગે તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ચાર દિવસની કાર્યવાહી દરમિયાન અંદાજિત 300 કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા હતા. જેને લઇને તપાસ તેજ કરવામાં આવી હતી.
ઇન્કમ ટેક્સ વિભાગ કોથળાં ભરીને સાહિત્ય ઇન્કમ ટેક્સ કચેરીમાં ઠાલવવામાં આવ્યું છે. આ સાથે સાથે કેટલાક બેંક ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે અને સોનું તથા રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવ્યું છે. ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં આર.કે ગ્રુપની ઓફિસો અને અન્ય ઠેકાણાંઓમાંથી કેટલીક કાચી ચીઠ્ઠીઓ કબ્જે કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીઓમાં કેટલાક મિલકતોના સોદ્દા અને તેના કારણે થયેલા બિનહિસાબી વ્યવહારોની માહિતી હતી. જેને ઇન્કમટેક્સ વિભાગે કબ્જે કરીને આવા વ્યવહાર કરતા અને રોકાણકારો સુધી પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.