રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ યથાવત: 887 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, 62 એકમોને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સતત ચોથા દિવસે શહેરની જાણીતી હોટલો, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ કેન્ટીનોમાં તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન 887 કિલો વાસી અને અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્વચ્છતા અને સ્ટોરેજની ખામીઓ બદલ 62 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ફૂડ સેફ્ટીને લઈને સતત ચોથા દિવસે શહેરભરમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન સંકલ્પ ઢોસા, પીઝા હટ, કટકબટક, ગ્રાન્ડ રેજન્સી, ઢોલામારુ સહિતની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત સ્ટર્લિંગ, HCG અને સીનર્જી હોસ્પિટલની કેન્ટીનોમાં પણ ફૂડ સેફ્ટીના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કુલ 887 કિલો વાસી અને અખાદ્ય ખાદ્યસામગ્રી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા, સ્ટોરેજ અને ખાદ્યસામગ્રીની ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવતા 62 એકમોને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત નિયમોના ભંગ બદલ રૂ. 1.08 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં અખાદ્ય ખોરાકનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને ફૂડ સેફ્ટી મુદ્દે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.