ગોધરા હત્યાકાંડના સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચાઈ, સરકારે સુરક્ષા પરત ખેંચતા સાક્ષીઓમાં નારાજગી
અમદાવાદ પોલીસે નરોડા ગામ, નરોડા પાટિયા અને ગુલબર્ગ જેવા અનેક રમખાણોના કેસોમાં 95 સાક્ષીઓને આપવામાં આવેલી સુરક્ષા પરત ખેંચી લીધી છે. સાક્ષીઓને આપવામાં આવતું પોલીસ રક્ષણ હટાવી લેવામાં આવતા ગુલબર્ગ હત્યાકાંડના સાક્ષીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાત સરકારે 2002ના ગોધરા કાંડ બાદ સર્જાયેલા વિવિધ રમખાણો સાથે સંકળાયેલા સાક્ષીઓ, વકીલો અને ફરિયાદીઓને આપેલી સુરક્ષા પરત ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ સાક્ષી સંરક્ષણ સેલની ભલામણ પર જ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 95 લોકોને સુરક્ષા આપવાના આદેશ આપ્યા હતા.
હવે અમદાવાદ પોલીસે નરોડા ગામ, નરોડા પાટિયા અને ગુલબર્ગ જેવા અનેક રમખાણોના કેસોમાં 95 સાક્ષીઓને આપવામાં આવેલી સુરક્ષા પરત ખેંચી લીધી છે. સાક્ષીઓને આપવામાં આવતું પોલીસ રક્ષણ હટાવી લેવામાં આવતા ગુલબર્ગ હત્યાકાંડના સાક્ષીઓમાં નારાજગી જોવા મળી રહી છે. સાક્ષીઓનું કહેવું છે કે SITએ સુરક્ષા પરત ખેંચવા માટે કોઇ કારણ આપ્યું નથી.
મહત્વનું છે કે નરોડા પાટિયા રમખાણ કેસમાં 32 લોકોને દોષી ઠેરવનાર સેશન્સ કોર્ટના પૂર્વ જજ જ્યોત્સના યાજ્ઞિકની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. જ્યોત્સના યાજ્ઞિકને સેવા દરમિયાન 15 વખત ધમકીઓ પણ મળી હતી જે બાદ CISFની સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ તેમના ઘરે તૈનાત CISF કર્મીઓએ ગત મહિને દિવાળી પછી આવવાનું બંધ કરી દીધું છે.