Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો દરમિયાન નગરદેવી મા ભદ્રકાળીના ચરણોમાં નમાવ્યુ શિશ, વિધિવત કરી પૂજાઅર્ચના
પીએમ મોદીએ સતત બીજા દિવસે અમદાવાદમાં શાહીબાગથી સરસરપુર સુધીનો રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએ મોદીએ નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કર્યા હતા અને વિધિવત પૂજા અર્ચના કરી હતી. મંદિર ટ્રસ્ટ તરફથી પણ પીએમ મોદીને ભેટ અને પ્રસાદી આપવામાં આવી હતી.
વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે પીએમ નરેન્દ્ર મોદીએ આજે સળંગ બીજા દિવસે અમદાવાદમાં રોડ-શો કર્યો. શાહીબાગથી સરસપુર સુધી યોજાયેલી રોડ-શોમાં વડાપ્રધાન મોદીનો કાફલો નગરદેવી મા ભદ્રકાળીના મંદિરે પહોંચ્યો હતો. અહીં મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન બાદ વિધિવત પૂજા-અર્ચના કરીને માતાજીની આરતી ઉતારી હતી. આરતી બાદ પૂજારી અને મંદિર ટ્રસ્ટ તરફથી પીએમને ભેટ અને પ્રસાદી આપવામાં આવી હતી. ત્યારબાદ પીએમનો રોડ શો આગળ વધ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો જોવા માટે હજારો લોકો ઉમટ્યા હતા. રોડ શો રૂટ પર મોટી સંખ્યામાં દૂર દૂર સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ અને ચિચિયારીઓ પાડી, મોદી-મોદીના નારા સાથે પીએમ મોદીનું અભિવાદન જીલ્યુ હતુ. રોડ શો રૂટ પર જ્યારે પીએમ મોદીનો કાફલો પસાર થયો, ત્યારે ત્યાં હાજર તમામ લોકો મોબાઈલની ટોર્ચ શરૂ કરી પીએમ મોદીનું અભિવાદન જીલ્યુ હતુ.
સરસપુરમાં પીએમ મોદીએ સંબોધી જંગી જનસભા
રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાને સરસપુરમાં જંગી જનમેદનીને સંબોધિત કરી હતી. વડાપ્રધાને અમદાવાદના સરસપુરમાં જંગી જનસભાને સંબોધિત કરી 5મી ડિસેમ્બરે થનારા મતદાનમાં પાછલા તમામ રેકોર્ડ તોડવા માટે હાકલ કરી હતી. વડાપ્રધાને જણાવ્યુ કે આ વખતે મતદાનમાં પાછલા તમામ રેકોર્ડ તોડી નાખજો અને દરેકે દરેક સીટ પર કમલ ખીલવા જોઈએ. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે વિકાસ થાય એટલે કોંગ્રેસની તબિયત બગડે છે.