Iran Israel War Breaking: ગુજરાતમાં તોળાતું ગેસ સંકટ, મોરબીમાં 100થી વધુ ફેક્ટરીઓ બંધ, ટાટા મોટર્સ પ્લાન્ટમાં 50% ઉત્પાદન ઘટવાની આશંકા
એક બાજુ અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ગેસ સંક્ટ જોવા મળી રહ્યું છે.ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર પણ સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે. હવે કેન્દ્ર સરકારે દેશભરમાં ECA લાગુ કર્યો છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું આ યુદ્ધે ખુબ ખતરનાક રુપ ધારણ કર્યું છે. 28 ફેબ્રુઆરીથી અયાતુલ્લા અલી ખામેનાઈના મૃત્યુથી શરુ થયેલા આ જંગનો આજે 11મો દિવસ છે. આજે પણ આ યુદ્ધ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાને પણ મિડિલ ઈસ્ટમાં જવાબી કાર્યવાહી તેજ કરી દીધી છે. યુદ્ધને લઈ દેશભરમાં ગેસ સપ્લાય પર મોટી અસર પડી છે. તો ગુજરાતના અનેક ક્ષેત્રમાં નુકસાનનું જોખમ તોળાઇ રહ્યુ છે.
ઈરાનની આ સૈન્ય કાર્યવાહીમાં ઈઝરાયલ, સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, બહરીન, કતર, કુવૈત,ઈરાક, ઓમાન, અઝરબૈઝાન, સાઈપ્રસ અને તુર્કિ સામેલ છે. અનેક દેશમાં તેલ સુવિધાઓ એરબેઝ અને સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હવે ઇઝરાઇલ ઈરાન યુદ્ધની લઈ ગેસ સપ્લાય પર મોટી અસર પડી છે. ત્યારે રાજકોટથી લઈ, મોરબી, સુરત, સાણંદ,અંકલેશ્વર સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી.
કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં 50% ગેસ પુરવઠા પર કાપ
આ યુદ્ધની આગ અને ગેસનું સંકટ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. ગેસ સપ્લાયમાં વિક્ષેપને લીધે મોરબીનો સિરામિક ઉદ્યોગ પ્રભાવિત થયો છે.જરૂરી પ્રોપેન ગેસ ન મળતા મોરબીમાં 100થી વધુ ફેક્ટરીઓ બંધ છે. અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં 50% ગેસ પુરવઠા પર કાપ મુકવામાં આવ્યો છે.ડેરી ઉદ્યોગોમાં 40% ગેસ કાપને લીધે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે.સાણંદ GIDCમાં આવેલ અનેક ઉત્પાદન એકમો પર સીધી અસર પડી છે.સાણંદના ટાટા મોટર્સ પ્લાન્ટમાં 50% ઉત્પાદન ઘટવાની આશંકા છે.
કોમર્શિયલ LPG સપ્લાય બંધ
શાપર, વેરાવળ, મેટોડાના અનેક ઔદ્યોગિક એકમોમાં ગેસ કાપ મુકવામાં આવ્યો છે.ગેસ કાપથી ₹1500 કરોડના નુકસાનની ભીતિ, 1 લાખ લોકોની રોજગારી પર સંકટ છે.રાજકોટમાં ગેસ એજન્સીઓએ કોમર્શિયલ LPG સપ્લાય બંધ કર્યો છે.સુરતમાં પણ કોમર્શિયલ LPGની અછતથી વધુ મુશ્કેલી થઈ રહી છે.કોમર્શિયલ ગેસના બાટલા ન મળતા રેસ્ટોરાઓ બંધ થવાની ભીતિ જોવા મળી રહી છે.
લાખો લોકોની રોજગારી પર સંકટ
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર પણ સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે.આ વચ્ચે રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતુ. તેમનું કહેવું છે કે, ગેસનો પૂરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. આ વચ્ચે હવે કેન્દ્ર સરકારે દેશભરમાં ECA લાગુ કર્યો છે.