RAJKOT : ઉપલેટામાં ભારે વરસાદથી ખેતીને મોટું નુકસાન, તાત્કાલિક સર્વે કરવા ખેડૂતોની માંગ
ઉપલેટામાં ખેતરોમાં પૂરનાં પાણી ઘૂસી જતાં પાકનું મોટા પાયે ધોવાણ થયું છે. મોજ નદીના પૂરથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાક ધોવાયા છે.
RAJKOT : રાજ્યમાં 13 અને 14 સપ્ટેમ્બરે વરસાદે સૌરાષ્ટ્રને અને ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, જામનગર અને ગીરસોમનાથ જિલ્લામાં કહેર મચાવ્યો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે 6 કલાક સુધીમાં લોધિકા, વિસાવદર, કાલાવાડ અને રાજકોટમાં 21 ઈંચથી 16 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે રાજ્યના ધોરાજી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, કપરાડા, પડધરી, ધરમપુર, રાણાવાવ, તાલાળા અને મેંદરડા મળી કુલ 12 તાલુકાઓમાં 10 ઈંચથી 6 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. રાજકોટના ઉપલેટામાં ઉપલેટા પંથકની મોજ નદીમાં ભારે પૂર આવ્યું હતું અને નદીમાં પૂર આવવાને કારણે નદીકિનારાના આસપાસના વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. છે.ખેતરોમાં પૂરનાં પાણી ઘૂસી જતાં પાકનું મોટા પાયે ધોવાણ થયું છે. મોજ નદીના પૂરથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાક ધોવાયા છે. ખેડૂતોએ ખેતીને થયેલા નુકસાનનું તાત્કલિક ધોરણે સર્વે હાથ ધરીને સહાય ચૂકવવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે 14 સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહેલા જામનગર અને બાદમાં રાજકોટની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાને આ બંને જિલ્લાઓમાં વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ત્વરિત સર્વે કરવાના આદેશ આપ્યા છે. વરસાદથી થયેલી નુકસાની અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે સર્વે માટેની ટીમ નક્કી થઇ ગઈ છે અને જેટલી જલ્દી સરવે થશે એટલું જ ઝડપથી કામ કરવામાં આવશે. એમણે કહ્યું કે કાલે સર્વે પૂર્ણ થાય તો કાલે અને પછીના દિવસે સર્વેપૂર્ણ થાય તો ત્યારે પણ, તાવારિત સર્વે કરવાના આદેશો આપી દેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી રેડ એલર્ટની આગાહી હટાવાઈ, છતાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી