Gujarati Video: લુણાવાડાની શાળામાં આસારામની પૂજા મામલે TPOએ DEOને સોંપ્યો રિપોર્ટ, આચાર્ય સહિતનાને ફટકારી નોટિસ
Mahisagar: લુણાવાડાની જામાંપગીના મુવાડા પ્રાથમિક શાળામાં કાર્યક્રમ દરમિયાન દુષ્કર્મના દોષી આસારામના ફોટાની પૂજા મામલે TPOએ જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ રિપોર્ટ સોંપ્યો છે. જેના આધારે DEOએ આચાર્ય, શિક્ષકો અને શિક્ષણસંઘના પ્રમુખને નોટિસ ફટકારી છે.
મહીસાગરના લુણાવાડાની જામાંપગીના મુવાડા પ્રાથમિક શાળામાં દુષ્કર્મના દોષી આસારામની પૂજા કરનાર સામે કાર્યવાહી થશે. શાળાના આચાર્ય, શિક્ષકો અને તાલુકાના શિક્ષણ સંઘના પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી થશે. TPOએ ઈન્ચાર્જ શિક્ષણાધિકારીને તપાસ રિપોર્ટ સોંપ્યો છે. તપાસ રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્ય, શિક્ષકો અને તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારી છે અને પૂજા કરવા મુદ્દે ખુલાસો માગ્યો છે.
મહત્વનું છે કે 17 ફેબ્રુઆરીએ પ્રાથમિક શાળામાં દુષ્કર્મના આરોપી આસારામના ફોટાની પૂજા કરવામાં આવી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આસારામના ફોટા સાથે પૂજા કરતા ભારે વિવાદ થયો હતો અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. પૂજા બાદ ભારે વિવાદ થતાં શિક્ષણાધિકારી એક્શનમાં આવ્યા હતા અને TPOને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.
પ્રાથમિક શાળામાં બાળકોના વાલીઓને બોલાવી માતૃપિતૃ પૂજન કાર્યકમ યોજાયો હતો. જેના દ્રશ્યો લોકોને વિચલિત કરે તેમ હતા. આ કાર્યકમમાં દુષ્કર્મના આરોપી આસારામના ફોટાની પૂજા કરવામાં આવી હતી. એટલું જ નહીં આસારામના પ્રવચન સંભળાવી ફોટાની પૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે કે આસારામને કોર્ટે બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે. ત્યારે આવા ગુનેગાર આસારામના ફોટાની આરતી ઉતારી શાળા બાળકોને કયા પ્રકારના સંસ્કાર આપવા માંગે છે તેવા અનેક સવાલો ઉભા થયા છે.