Gujarat Video: સગીરાના ગર્ભપાત મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, દુષ્કર્મ બાદ 19 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી
Ahmedabad: સગીરાના ગર્ભપાત મુદ્દે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં દુષ્કર્મ થયા બાદ 19 સપ્તાહ અને 4 દિવસના સુધીના સમયગાળામાં ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી છે.
સગીરાના ગર્ભપાત મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. દુષ્કર્મ બાદ 19 સપ્તાહ અને 4 દિવસના ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી છે. અગાઉ ગર્ભપાત મુદ્દે હાઈકોર્ટે સિવિલ હોસ્પિટલના નિષ્ણાંતો પાસે અહેવાલ મંગાવ્યો હતો. જ્યારે નિષ્ણાંતોએ ગર્ભપાતથી માતા અને બાળકને બંનેને જોખમ હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જેથી દુષ્કર્મ બાદ ગર્ભવતી સગીરાની માગ હાઈકોર્ટે સ્વીકારી છે. દુષ્કર્મ બાદ આ ગર્ભ આવ્યો હોવાથી બાળકને જન્મ આપવા સગીરા તૈયાર ન હતી.
શું હતો સમગ્ર કેસ?
સમગ્ર ઘટનાની વિગત અનુસાર બનાસકાંઠાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવતા દીકરીને ગર્ભ રહી ગયો હતો. તેના નિકાલ માટે દીકરીના પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પિતાએ તેમની સગીર દીકરીના 12થી 14 સપ્તાહના ગર્ભની ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ બાબતે પિતાની રજૂઆત હતી કે, તેમની દીકરી બાળકને જન્મ આપવા માટેની માનસિક અવસ્થામાં નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે.
આ સમગ્ર મામલે જસ્ટિસ ઈલેશ વોરાએ પાલનપુર સિવિલ હોસ્પિટલને સગીરાની તબીબી તપાસ માટે નિર્દેશ આપ્યા હતા. ગર્ભપાત થઈ શકે કે નહીં. તેની તપાસ માટેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
હાઈકોર્ટના આદેશ બાદ ડોક્ટરોએ સગીરાની તપાસ બાદ રિપોર્ટ આપ્યો હતો. આ સાથે કહ્યું હતું કે સગીરાની ગર્ભાવસ્થા 19 અઠવાડિયાથી ઓછી હોવાથી તે ગર્ભપાત કરાવી શકે છે. જોકે રાજ્ય સરકારે ગર્ભપાતની આ માંગનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સગીરા અને બાળક માટે આ નુકસાનકારક છે. જ્યારે અરજદારના એડવોકેટ અન્વેશ વ્યાસે રજૂઆત કરી હતી કે, પીડિતાને તેને પોતાના જોખમે બાળકનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવી જોઈએ. જેમાં હાઈકોર્ટે સગીરાના ગર્ભપાતને મંજૂરી આપી છે.