ડાંગના આહવામાં ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનો થયો પ્રારંભ, 12 માર્ચ સુધી ચાલશે લોકમેળો-Video
આહવામાં ઐતિહાસિક ડાંગ દરબાર લોકમેળાનો પ્રારંભ થયો છે, જે 12 માર્ચ સુધી ચાલશે. પ્રથમ દિવસે ડાંગના રાજવીએ ભીલ રાજાઓના ઇતિહાસ અને સાલીયાણાના મુદ્દા પર પ્રકાશ પાડ્યો અને તેમના અધિકારો માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ મેળો ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.
ડાંગના આહવામાં ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ લોકમેળાનો પ્રારંભ થયો. આજથી 12 માર્ચ 2025 સુધી ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ લોકમેળો યોજાશે. આ મેળો ડાંગ જિલ્લાની સમૃદ્ધ લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. રાજ્યપ્રધાન કુંવરજી હળપતિના હસ્તે મેળો લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. મેળાના પ્રથમ દિવસે જ પાંચ ભીલ રાજાનું સન્માન કરી પોલિટિકલ પેંશન આપવામાં આવ્યું. તંત્રએ રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી. રાજાઓની શાહી સવારી ઢોલ-નગારા સાથે રંગઉપવને પહોંચી. જ્યાં ધારાસભ્ય વિજય પટેલ, સાંસદ ધવલ પટેલ અને મંત્રી કુંવરજી હળપતિ પણ મન મુકીને નાચ્યાં હતા.
બીજી તરફ ડાંગના રાજવીએ પોતના સંબોધન દરમિયાન ભીલ રાજાઓના ઈતિહાસ અંગે વાત કરતા કહ્યું કે ભીલ રાજાઓ અંગ્રેજો સામે પણ ઝૂક્યા ન હતા. ડાંગના રાજાએ સાલીયાણાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે 1820માં ગાયકવાડ સરકારમાં નક્કી થયેલી રકમ મુજબ રાજાઓને આપવામાં આવતું સાલીયાણું આજે એક કરોડ થી વધુ થાય છે, પરંતુ હાલ તેટલી રકમ આપવામાં આવતી નથી. સાથે તેમણે પોતાના અધિકારો માટે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી.