Gujarati Video : અંકલેશ્વરમાં પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચાર, બોર્ડની પરીક્ષાના કારણે ONGC બ્રિજ બંધ નહીં કરાય

TV9 GUJARATI

|

Updated on: Mar 14, 2023 | 1:15 PM

આ મામલે ઉહાપોહ મચ્યો હતો. સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યાહતા, આ તમામ વચ્ચે આખરે વહીવટીતંત્ર તરફથી બોર્ડના પરીક્ષાર્થીઓને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. સમારકામ માટે અંકલેશ્વરમાં ONGC બ્રિજ બંધ કરવાનો નિર્ણય બોર્ડની પરીક્ષાના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે.

આખરે વહીવટીતંત્ર તરફથી બોર્ડના પરીક્ષાર્થીઓને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. સમારકામ માટે અંકલેશ્વરમાં ONGC બ્રિજ બંધ કરવાનો નિર્ણય બોર્ડની પરીક્ષાના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી સમારકામ માટે બ્રિજ બંધ રાખવાના હુકમને રદ કરવા જણાવ્યું છે. આ બ્રિજ બંધ થવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બનવાની અને બોર્ડના વિદ્યાર્થીનો પરેશાની વધવાની વાલીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાતમાં આજે 14 માર્ચના રોજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. એક તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લઈ ચિંતામાં છે તે વચ્ચે વહીવટીતંત્ર દ્વારા અંકલેશ્વર નગરને જીઆઇડીસી અને જુના નેશનલ હાઇવે સાથે જોડતા મહત્વના માર્ગ ઉપર ફ્લાયઓવરના સમારકામ માટે તારીખ ૧૪/૦૩/૨૩ થી ૨૫/૦૩/૨૩ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવતા પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવું પડકારજનક બનવાની ચિંતા વ્યક્ત કરાઈ હતી.

આ મામલો વિવાદિત બન્યો હતો

વાલીઓ સહીત સ્થાનિકો સમારકામ માટે સમયની પસંદગી ખોટી ગણાવી રહ્યા છે તો આ બાબતે અધિકારીઓ અને ધારાસભ્યો સમક્ષ રજુઆત પણ કરવામાં આવી રહી છે. આ તમામ વચ્ચે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે પોલીસતંત્ર તરફથી વિદ્યાર્થીઓ માટે શક્ય તમામ મદદની ખાતરી પણ આપવામાં આવી હતી.

29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે

શિક્ષણ વિભાગ તથા શિક્ષણ બોર્ડે પરીક્ષા સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે . પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પણ બોર્ડ દ્વારા વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે. આજે પરીક્ષાર્થીઓએ માન્ય ID પ્રૂફ સાથે હોલ ટિકિટ સાથે રાખવાની રહેશે અન્યથા તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. GSEB વર્ગ 10 ની પરીક્ષા આજે 14 માર્ચથી 28 માર્ચ 2023 દરમ્યાન લેવામાં આવશે જ્યારે GSEB વર્ગ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે યોજાશે.

વિદ્યાર્થીઓના ભાવિ સામે ચિંતા વ્યક્ત કરાઈ હતી

ભાજપા અગ્રણી અને શિક્ષક મગનભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય ઈશ્વર પટેલને રજુઆત કરવામાં આવી હતી કે ઓએનજીસી બ્રિજ ખૂબ જ અગત્યનો છે તારીખ ૧૪/૦૩/૨૩ થી રપ/03/ર૩ તે સુધી બંધ રહેશે અને ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા શરૂ થઇ રહી છે. અંકલેશ્વર સીટી અને જીઆઇડીસી માં ટ્રાફીક ખુબ હોય છે અને બન્ને ડાયવઝન પર ખુબ ટ્રાફીક થશે જેથી વિધાર્થીઓને સ્કૂલમાં ટાફીકના કારણે સમય પોહચી ન શકે તો વિધાર્થીઓનું ભાવિ બગડવાનો ભય વ્યક્ત કરાયો હતો. બોર્ડ ની પરીક્ષા પછી બ્રિજ નું કામ શરૂ થાયતે માટે પ્રયત્ન કરવા વિનંતી કરવામાં આવી હતી.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati