Breaking News: ગુજરાતમાં હવે ‘અશાંત વિસ્તાર’ કહેવાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’; વિધાનસભામાં બહુમતીથી અશાંતધારા ‘સુધારા બીલ’ પસાર
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક-2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. નવા નિયમો મુજબ હવે અશાંત વિસ્તાર 'નિર્દિષ્ટ વિસ્તાર' તરીકે ઓળખાશે. કલેક્ટરને 'સુઓ મોટો' તપાસની સત્તા આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક-2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ રજૂ કરેલા આ વિધેયક મુજબ, રાજ્યમાં સામાજિક સદભાવ જાળવવા માટે અશાંતધારાના વ્યાપમાં મોટા ફેરફારો કરાયા છે. હવે જે વિસ્તારોમાં શાંતિ ભંગ થવાની સંભાવના હોય તેને પણ ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરી શકાશે.
નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ:
કલેક્ટરની સત્તા: મિલકતની તબદીલીમાં ગેરરીતિ જણાય તો કલેક્ટર સીધી તપાસ કરી મિલકત આંચકી મૂળ માલિકને અપાવી શકશે.
કડક સજા: કાયદાના ભંગ બદલ હવે 5 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે.
SIT ની રચના: મિલકતના સોદાઓની તપાસ માટે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડા SIT ની મદદ લેશે.
લોન સુવિધા: લોકોની આર્થિક જરૂરિયાતને ધ્યાને રાખી હવે નિર્દિષ્ટ વિસ્તારની મિલકત ગિરો મૂકી બેંકમાંથી લોન મેળવી શકાશે.
પુનઃ સમીક્ષા: કલેક્ટરની મંજૂરી બાદ પણ રાજ્ય સરકાર ‘સુઓ મોટો’ સત્તાથી સોદાની ફરી તપાસ કરી શકશે.
આ સુધારા દ્વારા સરકાર નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું બળજબરીપૂર્વક થતું વેચાણ અટકાવવા કટિબદ્ધ છે.