Breaking News : જગદીશ વિશ્વકર્માના વિવાદિત નિવેદન પર કોંગ્રેસ આક્રમક, અમિત ચાવડાએ કહ્યું ગુજરાતની દરેક દીકરીની અસ્મિતા પર પ્રહાર
ગુજરાત ભાજપ પ્રમુખ પર કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રહાર કર્યો છે. ગેનીબેન પર આપેલા વિવાદિત નિવેદન પર અમિત ચાવડાએ જગદીશ વિશ્વકર્માને ઘેર્યા છે. ઈતિહાસ સાક્ષી છે કે જે શાસકો કે શાસન દીકરીની સાડીની રક્ષા નથી કરી શકતું એનું પતન નિશ્ચિત છે.
ગેનીબેન ઠાકોર પર ભાજપ પ્રદેશ પ્રમુખનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. પાલનપુરમાં કાર્યકર્તાઓને સંબોધતા જગદીશ વિશ્વકર્મા ભાન ભૂલ્યા હતા. ગેનીબેન ઠાકોરને લઈ જગદીશ વિશ્વકર્માએ વિવાદિત નિવેદન આપ્યું કે,”તમારા સાડીના પાલવમાંથી બહેનોએ સીટો છીનવી લીધી” ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ પર નિશાન સાધ્યું હતુ. જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર કરેલ ટિપ્પણીને લઇને અમિત ચાવડાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે.
“સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી ગયા”
રાજનીતિમાં શબ્દોની ગરિમા અને સંસ્કારોનું જ્યારે પતન થાય છે, ત્યારે સત્તાનો અહંકાર જન્મે છે. આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું તાજેતરનું નિવેદન કે “સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી ગયા”, એ માત્ર એક રાજકીય કટાક્ષ નથી પણ ગુજરાત ભાજપના નેતાઓની સ્ત્રીઓ પ્રત્યેની એ માનસિકતાનું જીવતું-જાગતું ઉદાહરણ છે.
ઈતિહાસ સાક્ષી છે કે જે શાસકો કે શાસન દીકરીની સાડીની રક્ષા નથી કરી શકતું એનું પતન નિશ્ચિત છે. આજે બનાસના લોકપ્રિય સાંસદ ગેની બેન ઠાકોર જેવા સક્ષમ લોકપ્રતિનિધિ માટે વપરાયેલા આ હીન શબ્દો એ માત્ર એક વ્યક્તિનું અપમાન નથી, પણ ગુજરાતની દરેક દીકરીની અસ્મિતા પર પ્રહાર છે.
વિશ્વકર્મા સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ
જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે,સત્તાના અહંકારમાં ગેનીબેન ઠાકોર માટે અભદ્ર નિવેદન આપ્યું છે.ગુજરાતની પ્રત્યેક બહેન દીકરી અને માતાઓનું અપમાન થયું છે.જગદીશ વિશ્વકર્મા સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ.પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ જગદીશ વિશ્કર્માને ઘેર્યા કહ્યું કે,ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન નિંદનીય છે.જગદીશ વિશ્વકર્માના વિવાદિત નિવેદન પર ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી તેમણે કહ્યુંબહેન દીકરી પર આવી ટિપ્પણી તદ્દન અયોગ્ય છે.