Breaking News : રાજકોટમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર, મકાનનો હપ્તો પુરો થાય તે પહેલા જર્જરિત બન્યું, જુઓ Video
રાજકોટ મનપા દ્વારા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શહીદ સુખદેવ ટાઉનશીપ તૈયાર કરવામાં આવી છે.આ આવાસમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોએ ઘર ખરીદ્યું હતુ. ત્યારે હવે આ મકાનની નબળી કામગીરીથી સ્થાનિક પરેશાન છે.
રાજકોટમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે.રાજકોટ મનપા દ્વારા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શહીદ સુખદેવ ટાઉનશીપ તૈયાર કરવામાં આવી છે. 2022માં તૈયાર થયેલી આ ટાઉનશીપ ત્રણ વર્ષમાં જ જર્જરિત બની જતા કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.આ આવાસ યોજનામાં આંગળી વડે જ લાદીઓ ઉખડી રહી છે. જેને લઈ 30 કરોડ કરતા વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.કેટલાક ફ્લેટમાં તો મોટા પોપડા પડી રહ્યા છે.
લોકો ચિંતામાં મુકાયા
શહીદ સુખદેવ ટાઉનશિપમાં 448 ફ્લેટ છે, જેમાંના મોટાભાગના ફ્લેટની હાલત અત્યંત ખરાબ છે.લોકોએ લોન લઈને 18 લાખ રૂપિયા કોર્પોરેશનને ચૂકવ્યા હતા.ત્યારે હજુ તો હપ્તા પણ પૂરા થયા નથી તેવા સમયે ફ્લેટની ખખડધજ હાલતથી લોકો ચિંતામાં મુકાયા છે.બીજી તરફ આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપ બાદ મનપા કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે.ત્યારબાદ આવાસની તપાસ માટે મનપા અધિકારીઓની ટીમે પહોંચી સ્થાનિકોની મુલાકાત લીધી હતી.અને તેમની સમસ્યા જાણી હતી.તપાસ કરીને મહાનગરપાલિકાના કમિશનરને રિપોર્ટ આપવામાં આવશે.
આ આવાસ યોજના હોવાથી હવે સ્થાનિકો ફ્લેટ ન તો વેચી શકે છે, કે બીજે જઈ શકે તેમ છે. ત્યારે હવે શું કરવું તેની રહીશોને ચિંતા સતાવી રહી છે.કહી શકાય કે, જે ગરીબ મધ્યવર્ગના લોકોએ જે ખુશી મકાન ખરીદીને થઈ હતી. આજે તેને પડ્યા પર પાડું લાગ્યું હોય તેવી સ્થિતિ બની ગઈ છે. કારણ કે, આ મકાનની ગુણવતા નબળી છે. અધિકારીઓ પણ તપાસ કરી ગયા છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.