Rajkot : ચૂંટણી પહેલા ફરી કોંગ્રેસને ઝટકો, ઉપલેટામાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમયે કોંગ્રેસના આગેવાનોએ કર્યા ‘કેસરિયા’
આગેવાનોનો આક્ષેપ છે કે કોંગ્રેસે ગામમાં કોઈપણ પ્રકારના વિકાસ કાર્યો કર્યા નથી. ઉપરાંત અત્યાર સુધી કોંગ્રેસના કોઈ નેતાના ફોન પણ આવ્યા નથી. જેથી તેઓ નારાજ થઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાના વતન મોટી પાનેલીમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે. ગામમાં ભાજપના ચૂંટણી કાર્યાલયની ઉદઘાટન સમયે કોંગ્રેસના આગેવાનોએ કેસરિયા કર્યા છે. ગામના સરપંચ સહિત મુસ્લિમ સમાજ અને દલિત સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. લોકોનો આક્ષેપ છે કે કોંગ્રેસે ગામમાં કોઈપણ પ્રકારના વિકાસ કાર્યો કર્યા નથી. ઉપરાંત અત્યાર સુધી કોંગ્રેસના કોઈ નેતાના ફોન પણ આવ્યા નથી. જેથી તેઓ નારાજ થઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
ગુજરાત વિધાન સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે. ઉપલેટામાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલીના વતન એવા મોટી પાનેલી ગામમાં ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આપ્રસંગે પ્રદેશ ભાજપ ના કારોબારી સભ્ય દિનેશ અમૃતિયા સહિત સામાજિક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ ગ્રામજનોએ મોટી પાનેલીના પનોતા પુત્ર મહેન્દ્ર પાડલીયાને જંગી બહુમતીથી જીતાડવા માટે સમર્થન પણ કર્યું હતુ.
એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો યથાવત
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો યથાવત છે. બે દિવસ પહેલા ટિકિટ ન મળતા નાકરાજ થયેલા દહેગામના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસનો હાથ છોડી કમળ પકડ્યું. મહત્વનું છે કે, ટિકિટ ન મળતા તેણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ બાદમાં તેણે ફોર્મ પરત ખેંચી કમલમાં કેસરિયા કર્યા હતા.