ભારે વરસાદથી વડોદરા શહેરને વિશ્વામિત્રીના પૂરે બાનમાં લીધું હતું. શહેરમાં પૂર તો ઉતરી ગયું પરંતુ ઠેર ઠેર કચરાના ઢગલા રહી ગયા હતા. શહેરના તમામ વિસ્તારોમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. ગંદકીએ માજા મૂકી અને વડોદરા જાણે ગંદકી મય બન્યું હોય તેવી સ્થિતિ હતી. પરંતુ ગંદકીને દૂર કરવા પાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.
ગત 29 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી વડોદરા મહાનગરપાલિકાની સાથે અમદાવાદ અને સુરતની ટીમો દ્વારા કચરાના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં વડોદરાના 4200 કર્મચારીઓ તો સુરત અને અમદાવાદની સફાઈકર્મીઓ આ અભિયાનમાં જોડાયા અને શહેરમાંથી રોજના 1700 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો. હાલ 19,000 મેટ્રિક ટન કરતાં પણ વધુ કચરો શહેરમાંથી નિકાલ કરવામાં આવ્યો છે.
શહેરમાંથી આટલા કચરાનો નિકાલ કર્યા બાદ પણ હજુ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં કચરા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બીજી તરફ પાલિકાના સત્તાધીશો શહેર સ્વચ્છ થઈ ગયું હોવાની વાત કરી રહ્યા છે.
Input Credit- Anjali Ojha- Vadodara