ભગવાન જગન્નાથજીએ આજે ધારણ કર્યો સોનાવેશ, સોનાના આભૂષણોથી ભગવાનને કરાયો શણગાર- Video
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે બસ હવે ગણતરીની કલાકો બાકી રહી છે. ભાવિકો કાગડોળે નાથની નગરચર્યાની રાહ જોઈ રહ્યા છે ત્યારે એ પહેલા આજે ભગવાને સોનાવેશ ધારણ કર્યો છે. સોનાના આભૂષણોથી ભગવાનને શણગાર કરાયો છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. દર વર્ષે આયોજિત થતી આ રથયાત્રાની ભાવિ ભક્તો કાગડોળે રાહ જોતા હોય છે. આવતીકાલે નીકળનારી ભગવાનની રથયાત્રા પૂર્વે આજે ભગવાને સોનાવેશ ધારણ કર્યો છે. સોનાના આભૂષણોથી ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે. જગન્નાથ મંદિરમાં ભગવાનની સોનાવેશમાં પૂજનવિધિ કરવામાં આવી છે. દિવસભર ભક્તો ભગવાનના સોનાવેશના દર્શન કરી શકશે. મંદિરના પ્રાંગણમાં ત્રણ રથનું પૂજન કરવામાં આવશે.
આ વખતે પ્રથમ વખત દક્ષિણ ભારતીય પરંપરા મુજબ ગજરાતનું પૂજન કરવામાં આવશે. આ ગજરાજ પૂજન માટે અતિથિ વિશેષ તરીકે જય શાહ ઉપસ્થિત રહેશે. મંદિરમાં સાંજે મુખ્યમંત્રી આરતીમાં ભાગ લેશે અને વિશેષ પૂજા કરશે. આવતીકાલે ભગવાનનની વાજતેગાજતે રથયાત્રા નીકળશે અને ભગવાન તેમના ભક્તોને દર્શન આપશે.
આ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળતી હોય છે ત્યારે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કઈ રીતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અંગે મોકડ્રીલ યોજાઈ હતી. ફાયર, પોલીસ, મેડિકલ, સિવિલ ડિફેન્સ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું છે. બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવવા અને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી. સાથે આગ લાગવા જેવી ઘટનામાં કઈ રીતે લોકોને બચાવવા તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ રથયાત્રામાં 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ, 30 અખાડાઓ તેમજ 3 બેન્ડબાજાવાળા જોડાશે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો રથયાત્રામાં જોડાશે. રથયાત્રામાં ભાગ લેવા સમગ્ર ગુજરાત ઉપરાંત હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન અને જગન્નાથપુરીમાંથી કુલ 2 હજાર 500 જેટલાં સંતો પધારશે. પરંપરા મુજબ લગભગ બારસો ખલાસી ભાઈઓ દ્વારા પ્રભુ જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનો રથ ખેંચવામાં આવશે. તો રથયાત્રા માટે મંદિર દ્વારા વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Input Credit- Dhwani Modi- Ahmedabad
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો