Breaking News: અમદાવાદ માસૂમ બાળકીઓના મોતનું રહસ્ય ઘેરાયું: FSL રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગની થિયરી નકારાઈ, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ
ફૂડ પોઈઝનિંગ નહીં પણ ઝેરી પદાર્થ બન્યો મોતનું કારણ. ક્રાઈમ બ્રાન્ચે માતા-પિતાની લાઈફ સ્ટાઈલ અને મેડિકલ સ્ટોરના કનેક્શન પર તપાસ તેજ કરી.
અમદાવાદમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગથી મોત થયા હોવાનું મનાતું હતું, પરંતુ FSL રિપોર્ટમાં આ વાત ખોટી સાબિત થઈ છે. રિપોર્ટ અનુસાર, બાળકીઓના મોત કોઈ ઝેરી પદાર્થના સેવનથી થયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે હવે સમગ્ર મામલો સામૂહિક આપઘાત કે હત્યા તરફ ફંટાયો છે.
મેડિકલ સ્ટોર અને સીસીટીવી ફૂટેજ પર નજર
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક બાળકીની માતા ભાવના પ્રજાપતિના પિતા મેડિકલ સ્ટોર ધરાવે છે. પોલીસને શંકા છે કે ઝેરી પદાર્થ ક્યાંથી આવ્યો તે પાછળ આ મેડિકલ સ્ટોરનું કોઈ કનેક્શન હોઈ શકે છે. ક્રાઈમ બ્રાન્ચે મેડિકલ સ્ટોરના CCTV ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી છે.
પિતાનું મોડેલિંગ કરિયર અને ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન
પોલીસ તપાસમાં પિતા વિમલ પ્રજાપતિની લાઈફ સ્ટાઈલ વિશે પણ અનેક ખુલાસા થયા છે. વિમલ પ્રજાપતિ ઓસ્ટ્રેલિયા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા અને તેમને મોડેલિંગમાં કરિયર બનાવવાનો ભારે શોખ હતો. શું પરિવારની આર્થિક સ્થિતિ કે પિતાની મહત્વકાંક્ષાઓ આ કરુણ ઘટના પાછળનું કારણ છે? તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પરિવારની પૂછપરછ અને ગુનો નોંધવાની પ્રક્રિયા
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાળકીઓના દાદા-દાદી સહિત પરિવારના અન્ય સભ્યોને પૂછપરછ માટે બોલાવ્યા છે. પોલીસને શંકા છે કે આ ઘટનામાં માતા-પિતા અથવા પરિવારના નજીકના સભ્યોની સંડોવણી હોઈ શકે છે. હાલમાં FSLના ફાઈનલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, ત્યારબાદ વિધિવત ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.