અમદાવાદ-ભાજપનો ગઢ ગણાતી મણિનગર બેઠક પરથી અમૂલ ભટ્ટે ઉમેદવારી પત્ર ભર્યુ
Gujarat Election 2022: અમદાવાદની મણિનગર બેઠક પરથી ભાજપના અમૂલ ભટ્ટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. આ બેઠક પરથી નરેન્દ્ર મોદી ત્રણ વાર ચૂંટણી લડ્યા હતા અને જંગી લીડથી જીત્યા હતા. 2014માં નરેન્દ્ર મોદી લોકસભામાં જતા આ બેઠક ખાલી પડી હતી ત્યારબાદ સુરેશ પટેલ સતત બે ટર્મ સુધી આ બેઠક પરથી જીત્યા હતા.
અમદાવાદમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. અમદાવાદમાં મણિનર બેઠક પર ભાજપે આ વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને ટિકિટ આપી છે. અમૂલ ભટ્ટ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે બાઈક રેલી પણ યોજી હતી. એટલુ જ નહીં ઐતિહાસિક બેઠકો સાથે ભાજપ સરકાર બનાવશે તેવો દાવો પણ કર્યો હતો. અમૂલ ભટ્ટએ વધુમાં જણાવ્યુ કે આ ચૂંટણી 20274માં પીએમ મોદીના હાથ વધુ મજબુત કરવા માટેની ચૂંટણી છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે 2022માં એવી જીત મેળવીશુ જેના પડઘા 2024માં પડશે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: મણિનગર બેઠકના રાજકીય સમીકરણો
મણિનગર બેઠક પર 1975થી 2017 સુધીમાં 11 વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ. જેમા વર્ષ 1980 અને 1985 એમ બે ટર્મ સુધી કોંગ્રેસે આ બેઠક પર જીત નોંધાવી હતી. ત્યારબાદ વર્ષ 1990ની વિધાનસભા ચૂંટણીથી અહીં ભાજપનું એકચક્રી શાસન રહ્યુ છે. છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી અહીં ભાજપનો દબદબો છે. આ બેઠકના મતદારોનો ઝુકાવ પહેલેથી ભાજપ તરફી રહ્યો છે. 1990થી સતત ત્રણ ટર્મ સુધી ભાજપના કમલેશ પટેલ ચૂંટાયા હતા.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: નરેન્દ્ર મોદી મણિનગર બેઠકથી સતત ત્રણ ટર્મ ચૂંટાયા
2002માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિનગર બેઠક પરથી લડ્યા હતા અને જંગી લીડ સાથે જીત્યા હતા. 2002થી 2012 સુધી નરેન્દ્ર મોદી જંગી બહુમતી સાથે અહીંથી ચૂંટાતા રહ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મણિનગરનો તેમના દ્વારા ખૂબ વિકાસ કરવામાં આવ્યો છે. આથી આ બેઠક પીએમ મોદીના વિકાસનો પર્યાય ગણાય છે. 2014માં નરેન્દ્ર મોદી લોકસભા લડ્યા અને મણિનગર બેઠક ખાલી પડી હતી. 2014ની પેટાચૂંટણીમાં સુરેશ પટેલ અહીંથી લડ્યા અને જીત્યા હતા. ત્યારબાદ 2017માં પણ ભાજપે સુરેશ પટેલને જ મેદાને ઉતાર્યા હતા. આ વખતે ભાજપે અમૂલ ભટ્ટને મણિનગરથી મેદાને ઉતાર્યા છે.