The Kerala Story: ‘કેરલ સ્ટોરી’ની રિયલ લાઈફ વિક્ટીમ, સુદીપ્તો સેન 26 છોકરીઓને લાવ્યા સામે, તે તમામે ધર્મ પરિવર્તનનો કર્યો દાવો
The Kerala Story : એક પ્રેસ કોન્ફરન્સમાં ધ કેરલા સ્ટોરીના ડાયરેક્ટર સુદીપ્તો સેને કેટલીક છોકરીઓને આગળ લાવીને દાવો કર્યો કે, આ છોકરીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે.
The Kerala Story : સુદીપ્તો સેનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કેરળની ત્રણ છોકરીઓની વાર્તા દર્શાવવામાં આવી છે, જેઓ ધર્માંતરણ કરે છે. ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેરલની 32 હજારથી વધુ છોકરીઓ સાથે આવું બન્યું છે. ધર્મ બદલીને તેને આતંકવાદી સંગઠન ISISમાં સામેલ કરવામાં આવી હતી.
જ્યારથી ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારથી તેમાં કરવામાં આવેલા દાવાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. આ ફિલ્મને પ્રચાર કહેવામાં આવી રહી છે. જો કે થિયેટરોમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન 17 મેના રોજ, ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેને મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જ્યાં તેઓ અર્ષ વિદ્યા સમાજ સંસ્થાની લગભગ 26 છોકરીઓ સાથે આગળ આવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે, આ તમામ યુવતીઓએ ધર્મ પરિવર્તન કર્યું છે.
સુદીપ્તો સેને કહી આ વાત
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુદીપ્તો સેને શ્રુતિ નામની છોકરીનો ઉલ્લેખ કર્યો જે ધર્મ પરિવર્તનનો ભોગ બની હતી. તેણે કહ્યું કે જ્યારે તે ઈન્ટરવ્યુ માટે શ્રુતિના ઘરે ગયો ત્યારે ઘરમાં વીજળી નહોતી. જ્યારે તે લોકો બજારમાંથી શાકભાજી લાવતા હતા ત્યારે તેમની થેલીઓ છીનવાઈ જતી હતી. સુદીપ્તોએ શ્રુતિ વિશે જણાવ્યું હતું કે, તેઓ ખોરાક વિના અને વીજળી વિના રાત વિતાવતા હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિર્માતાઓએ ઘણી પીડિત છોકરીઓનો પરિચય કરાવ્યો. તેમાંથી એક યુવતી સાથે વાત કરતાં યુવતીએ જણાવ્યું કે, તે બધાને દરરોજ આવા 5 થી 10 ફોન આવે છે અને લોકો તેમને કહે છે કે, તેમના પરિવારમાં દીકરીઓ અને દીકરાઓ સાથે આવું થઈ રહ્યું છે. સુદીપ્તો સેન દ્વારા ઉલ્લેખિત શ્રુતિ નામની છોકરીએ પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરી અને કહ્યું કે, ધ કરેલા સ્ટોરી પછી તેને દુનિયાના ખૂણે-ખૂણેથી કોલ આવી રહ્યા છે અને માતા-પિતા, છોકરીઓ, છોકરાઓ કહી રહ્યા છે કે તેને પણ આવી સમસ્યા થઈ છે.