TV Blast: બચીને રહેજો! સ્માર્ટફોન બાદ હવે ટીવીમાં પણ થવા લાગ્યા બ્લાસ્ટ, 16 વર્ષના છોકરાનું થયું મોત
એલસીડી ટીવીમાં વિસ્ફોટ બાદ ઘાયલ થયેલા ત્રણ લોકોને સારવાર માટે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે 16 વર્ષના છોકરાને મૃત જાહેર કર્યો હતો. ત્યારે ટીવી બ્લાસ્ટમાં અન્ય બંને લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
અત્યાર સુધી તમે સ્માર્ટફોન (Smartphone)ના વિસ્ફોટ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ પહેલીવાર એક ચોંકાવનારી ઘટનાથી દરેકના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. સ્માર્ટફોન નહીં, પરંતુ આ વખતે એલસીડી ટીવી બ્લાસ્ટ(LCD TV Blast)ના સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે ગાઝિયાબાદમાં એક ઘરમાં એલસીડી ટીવી વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા છે, જ્યારે એક 16 વર્ષના છોકરાનું પણ મોત થયું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ દિવાલ પર લગાવેલા એલસીડી ટીવીમાં બ્લાસ્ટ થતાં 16 વર્ષના છોકરાનું મોત થયું છે, આ ઘટના ત્યારે બની જ્યારે 16 વર્ષનો છોકરો ગાઝિયાબાદમાં રહેતા તેના મિત્રના ઘરે ગયો હતો. આ ઘટનામાં માત્ર 16 વર્ષનો છોકરો જ નહીં, પરંતુ રૂમમાં હાજર અન્ય બે લોકો પણ ખરાબ રીતે ઘાયલ થયા હતા.
એલસીડી ટીવીમાં વિસ્ફોટ બાદ ઘાયલ થયેલા ત્રણ લોકોને સારવાર માટે દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે 16 વર્ષના છોકરાને મૃત જાહેર કર્યો હતો. ત્યારે ટીવી બ્લાસ્ટમાં અન્ય બંને લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
શા માટે થયો બ્લાસ્ટ?
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ટીવીમાં બ્લાસ્ટ કેવી રીતે થયો, આ એક ખૂબ જ વિચિત્ર કિસ્સો છે જે પહેલીવાર સામે આવ્યો છે અને હજુ સુધી પોલીસને આ મામલે કોઈ લીડ નથી મળી શકી કે આ ટીવી બ્લાસ્ટ થયો તો કેવી રીતે થયો? સ્માર્ટફોનમાં વિસ્ફોટ થવાનું કારણ બેટરી માનવામાં આવે છે, પરંતુ એલસીડી ટીવી મોડલમાં બેટરીનો કોઈપણ રીતે ઉપયોગ થતો નથી, તેથી ટીવીમાં એવું કોઈ તત્વ નથી કે જે વિસ્ફોટ કરી શકે.
આપને જણાવી દઈએ કે આજકાલ ટીવીમાં કાચની સ્ક્રીનને બદલે ઉચ્ચ ગુણવત્તાની પ્લાસ્ટિક લેયરનો ઉપયોગ કરવામાં આવે છે. જો આ ડિસ્પ્લે જોરથી અથડાય તો પણ ટીવી ફાટતું નથી, પરંતુ સ્ક્રીન ચોક્કસપણે તૂટી જાય છે. ફોનમાં જનરેટ થનારી ગરમીને કારણે ઘણીવાર સ્માર્ટફોનમાં વિસ્ફોટ થાય છે, પરંતુ LCD ટીવી ફાટવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે.