અમિતાભ બચ્ચનનું દાદા સાહેબ ફાળકે એવોર્ડથી થશે સન્માન, દાદા સાહેબનો ગોધરા સાથે હતો ખાસ સંબંધ
કેન્દ્ર સરકાર દ્વારા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે. ત્યારે ફિલ્મ જગતમાં દાદા સાહેબનું નામ સર્વોચ્ચ છે. તો ગુજરાતનો પણ દાદાસાહેબ ફાળકે સાથે એક જૂનો સંબંધ છે. ગુજરાતના અંતરિયાળ જિલ્લાનું ગામ દાદા સાહેબની કારકિર્દીની શરૂઆતનું સાક્ષી છે. જે આખી વાત સર્વ સામાન્ય નથી. બોલીવુડનું સર્વોચ્ચ સન્માન અને દિગજ્જ […]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દાદાસાહેબ ફાળકેનો પ્રથમ ફોટો સ્ટુડિયો ગોધરાના રેલ્વે સ્ટેશનથી થોડી દૂર ગીદવાણી રોડ વિસ્તારમાં શરૂ થયો હતો. વાત માનવામાં ન આવે પરંતુ આ એક હકીકત છે. ગોધરા શહેરના જહૂરપુરા શાક માર્કેટ પાસે વર્ષો જુનું એક મકાન છે. મકાનમાં રહેતા દેસાઈ પરિવાર આજે પણ દાદા સાહેબ ફાળકેના ફોટો સ્ટૂડિયોની ગવાહી આપે છે. દાદા સાહેબ અને તેમના પરિવાર વચ્ચેના પારિવારિક સંબંધોની અને જેતે સમયે દાદા સાહેબ ફાળકેએ પોતાના કેમેરામાં કંડારેલી દેસાઈ પરિવારની તસ્વીરો આજે પણ સૌની સામે છે. ગોધરાના આ મકાનમાં રહેતા અને દેસાઈ પરિવારની ચોથી પેઢી ધપાવતા સુધીરભાઈ દેસાઈ પોતાના એક પુત્ર સંસ્કાર દેસાઈ તેમની બે પુત્રી અને પત્ની સાથે આજે આ મકાનમાં રહે છે. સુધીર ભાઈ દેસાઈના જણાવ્યા મુજબ, જે તે સમયે તેમના પરિવારમાં ધાર્મિક કાર્યકર્મ સમયે દાદા સાહેબ ફાળકે દ્વારા કરાયેલી ફોટોગ્રાફીની તસ્વીરો આજે તેમની પાસે છે. જેનો દેસાઈ પરિવારના સભ્યોને આજે પણ હર્ષ અને ગર્વ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગોધરામાં વસવાટ બાદ પ્રથમ ફોટો સ્ટૂડિયો શરુ કરી ફોટોગ્રાફીની દુનિયામાં પ્રથમ કદમ મૂકી કારકિર્દી શરુ કરી હતી. દાદા સાહેબના ગોધરા સુધી લંબાવવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. વડોદરાના સયાજીરાવ ગાયકવાડ પાસે જઈ દાદા સાહેબે ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા જાહેર કરી હતી. જેને લઈ સયાજી રાવ ગાયકવાડે કલા ભવન ખાતે ફોટોગ્રાફીનો કોર્ષ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. દાદા સાહેબે ફોટોગ્રાફીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ બાદ પોતાનો ફોટો સ્ટૂડિયો શરુ કરવાનો વિચાર આવ્યો હતો. અને સૌ પ્રથમ ગોધરાને પસંદ કર્યું હતું. જ્યાં સુધીરભાઈ દેસાઈના દાદા રાવ સાહેબ દેસાઈને મળ્યા હતા. તે સમયે રાવ સાહેબ દેસાઈ 22 ગામો ધરાવતા સૌથી મોટા ધનવાન ગણાતા હતા. તેમની મુલાકાત બાદ દાદા સાહેબે ફોટો સ્ટુડિયો શરુ કરવા માટેની માગણી કરી હતી. જે માટે હાલ ગીદવાણી રોડના નામે ઓળખાતા વિસ્તારમાં જગ્યા આપવામાં આવી હતી.
આ સ્થળ પર પ્રથમ ફોટો સ્ટુડિયો ઈસ.1895માં શરુ કર્યો હતો. પરંતુ પંચમહાલ જિલ્લો અતિ પછાત હોવાના કારણે ફોટો સ્ટુડિયો શરુ થયા બાદ દાદા સાહેબને પુરતી સફળતા મળી ન હતી. જેથી ગોધરા છોડી પુના તરફની કુચ કરી હતી. આમ દાદા સાહેબે પોતાની ફોટોગ્રાફીની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતેથી જ કરી હતી. દેસાઈ પરિવારના સભ્યો આજે લેખક તેમજ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ડાયરેક્ટર જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાં તેઓ પોતાની સફળતા અને આ વ્યવસાયનો શ્રેય દાદા સાહેબ ફાળકેને આપી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, આમ તો ગોધરા શહેરની વાત આવે તો 2002નો ગોધરાકાંડ જ યાદ આવે છે. પરંતુ આજે ગોધરાનું નામ દાદા સાહેબ ફાળકે જેવા મહાન ફિલ્મકાર સાથે લેવાતા ગોધરાના નગરજનો આનંદની લાગણી અનુભવે છે.