ભારતીય ટીમે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ 7 રનથી જીતીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ 17 વર્ષના ઈંતજારનો અંત લાવીને 2007 પછી વર્લ્ડ કપ જીત્યો છે. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમે આખા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તો ફાઈનલ મેચમાં જ્યારે કેપ્ટન રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ વિરાટ કોહલીએ જવાબદારી લીધી અને ટીમને સારા લક્ષ્ય સુધી પહોંચાડી હતી. ફાઈનલ મેચ બાદ ભારતીય ટીમના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ત્યારે જાણી લઈએ કે આ બંને દિગ્ગજોને નિવૃત્તિ બાદ પેન્શન મળશે કે નહીં.
BCCI ભારતીય ક્રિકેટરોને નિવૃત્તિ બાદ પેન્શન આપે છે. આ માટે BCCIના કેટલાક નિયમો છે. આ માટે ખેલાડીઓએ નક્કી કરેલી મેચો રમવાની હોય છે. તેના આધારે તેમને પેન્શન આપવામાં આવે છે. BCCIનો પેન્શન સ્લેબ ફર્સ્ટ ક્લાસ મેચ અને ટેસ્ટ ક્રિકેટ મેચોના આધારે બનાવવામાં આવ્યો છે.
જો કોઈ ખેલાડીએ ભારત માટે 25 થી વધુ ટેસ્ટ મેચ રમી હોય તો તેને પેન્શન તરીકે દર મહિને 70,000 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે 25થી ઓછી ટેસ્ટ મેચ રમનારા ક્રિકેટરોને પેન્શન તરીકે દર મહિને 60,000 રૂપિયા આપવામાં આવે છે. આ સંદર્ભમાં બંને દિગ્ગજો રોહિત શર્મા અને વિરાટ કોહલીને પેન્શન મળશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ વિશ્વનું સૌથી ધનિક બોર્ડ છે. BCCI માત્ર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે જ નહીં પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા ક્રિકેટરો માટે પણ પેન્શનની જોગવાઈ ધરાવે છે. BCCIના પેન્શન સ્લેબ હેઠળ, 2003 પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા અને 1 થી 74 મેચ રમનારા ક્રિકેટરોને પેન્શન તરીકે દર મહિને 30 હજાર રૂપિયા આપવામાં આવે છે. 75 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમનારા ખેલાડીઓને પેન્શન તરીકે 45,000 રૂપિયા મળે છે. BCCI મહિલા ક્રિકેટરોને પણ પેન્શન ચૂકવે છે. 5 થી 9 ટેસ્ટ રમનારને 30,000 રૂપિયા આપવામાં આવે છે.