માન્ચેસ્ટર ટેસ્ટ (Manchester Test) રદ થવાના કારણે સમગ્ર ચર્ચા મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ના પુસ્તક લોન્ચિંગ કાર્યક્રમ તરફ વળી ગઈ છે. આ કાર્યક્રમને ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રદ થવાનું કારણ ગણાવી રહ્યા છે. ઓવલ ટેસ્ટ (Oval Test) પહેલા લંડનની હોટલમાં જ રવિ શાસ્ત્રીની પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જેમાં લગભગ 150 લોકો સામેલ થયા હતા. જેમાં ઘણા બહારના લોકો પણ સામેલ હતા અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિત ટીમ ઈન્ડિયાના સભ્ય પણ હતા. ત્યારબાદ જ ટીમમાં કોરોનાના કેસ આવવા લાગ્યા, જેમાં કોચ સહિત સપોર્ટ સ્ટાફના 5 સભ્ય ઝપેટમાં આવ્યા. ત્યારે હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું કોચ અને કેપ્ટને BCCIના સચિવ જય શાહ (Jay Shah)ની સલાહને નજરઅંદાજ કરી? તેની સાથે જ શું બોર્ડ તરફથી બંનેને કોઈ પ્રકારની સજા મળશે?
ભારતીય ટીમ જૂન મહિનાથી ઈંગ્લેન્ડમાં છે અને શરૂઆતમાં જ 10 દિવસનો ક્વોરન્ટાઈન પુરો કરી ચૂકી હતી. ટીમના લગભગ તમામ સભ્યોને કોરોના વેક્સિનના બંને ડોઝ પણ લાગી ચૂક્યા છે. ટેસ્ટ સિરિઝ પહેલા ખેલાડીઓને થોડા દિવસની રજાઓ પણ આપવામાં આવી હતી. જેમાં તે તમામ અલગ અલગ જગ્યાઓ પર ફરવા ગયા હતા.
બ્રિટેનમાં કોરોના સંબંધિત નિયમોમાં છેલ્લા થોડા દિવસોથી છુટ આપવામાં આવી હતી. જેના કારણે ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડી કોઈ પ્રકારના બાયોબબલમાં નહતા. તેમ છતાં ટેસ્ટ સિરિઝ પહેલા રિષભ પંત સહિત ઘણા લોકો કોરોના પોઝિટીવ આવ્યા બાદ BCCIએ ભીડવાળી જગ્યાઓથી દુર રહેવાની સલાહ આપી હતી.
સમાચાર એજન્સી PTI મુજબ શાસ્ત્રી અથવા કોહલીએ ટીમ હોટલમાં થયેલા સમારોહમાં ભાગ લેવા માટે બીસીસીઆઈ પાસેથી લેખિત અનુમતિ આપી નહતી. તેના વિશે બોર્ડના એક સીનિયર અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અથવા સચિવ જય શાહ પાસેથી કોઈ પરવાનગી લીધી નહતી.
બોર્ડના સુત્રો મુજબ ટી20 વિશ્વ કપને જોતા શાસ્ત્રી અથવા કોહલીને સજા મળવાની સંભાવના ઓછી છે પણ ટીમની સાથે ગયેલા મેનેજરના કામ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. પ્રવાસ પર ટીમના મેનેજર ગિરિશ ડોંગરે છે, જેમને ટીમથી જોડાયેલા કાર્યક્રમ માટે કાગળની કાર્યવાહી પુરી કરવાની હોય છે અને સાથે જ સુનિશ્ચિત કરવાનું હોય છે કે પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું ટી20 વિશ્વકપ પહેલા આ હરકત માટે શાસ્ત્રી અને કોહલીને સજા મળવાની સંભાવના નથી.
આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓના મોબાઇલથી લીક થયા મેસેજ, સામે આવ્યો માંચેસ્ટરનો ‘ખેલ’