સિરાજ પહેલા ભારતના આ 5 બોલરોએ નંબર-1 નો તાજ મેળવ્યો હતો, રવિન્દ્ર જાડેજા મેળવી ચુક્યો છે સિદ્ધી
સિરાજ ભારતનો છઠ્ઠો બોલર છે કે, જે આ નંબર વનના સ્થાન સુધી પહોંચી શક્યો છે. સિરાજે છેલ્લા કેટલાક સમયમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે અને તે સતત વિકેટ નિકાળતો રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમ નો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ન્યુઝીલેન્ડ સામે જબરદસ્ત પ્રદર્શન કરીને સિરાજ હવે વનડે ફોર્મેટમાં નંબર વનના સ્થાન પર પહોંચ્યો છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ તેને જબરદસ્ત ફળી હતી, તે આ બંને શ્રેણીના પ્રદર્શન સાથે ઉંચાઈઓને આંબવા લાગ્યો હતો. સિરાજ ભારતનો છઠ્ઠો બોલર છે કે જે પ્રથમ સ્થાન હાંસલ કરી શક્યો છે. ઝડપી બોલરોમાં તે ત્રીજો બોલર છે. આ પહેલાની પાંચ બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કપિલ દેવ પણ સામેલ રહ્યા છે.
વનડે કરિયરમાં અત્યાર સુધીમાં સિરાજે 21 મેચ રમી છે અને આ દરમિયાન તેણે 38 વિકેટો ઝડપી છે. તેણે ભારતીય બોલર તરીકે ઓછી વનડે મેચો રમીને આ સિદ્ધી હાંસલ કરી છે. આ પહેલા બુમરાહે આ સિદ્ધી હાંસલ કરી હતી.
આ પાંચ ભારતીય બોલરો કર્યો છે કમાલ
જસપ્રીત બુમરાહઃ સિરાજ પહેલા બુમરાહે આ સ્થાન હાંસલ કર્યુ હતુ. ભારતીય ઝડપી બોલર બુમરાહે વર્ષ 2018 અને 2022 માં આ સ્થાન હાંસલ કર્યુ હતુ. ગત વર્ષ ઈંગ્લેન્ડ સામે કરિયરનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ગત વર્ષે 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. બુમરાહે અત્યાર સુધીમાં 72 વનડે મેચમાં 121 વિકેટ ઝડપી છે.
રવિન્દ્ર જાડેજાઃ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વનડે ફોર્મેટમાં 2013માં નંબર વનનુ સ્થાન મેળવ્યુ હતુ. એ વર્ષે ઓફ સ્પિનર જાડેજાએ 52 વિકેટ ઝડપી હતી. ભારતને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા બનાવવામાં જાડેજાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેણે 12 વિકેટ ટૂર્નામેન્ટમાં ઝડપી હતી. ભારત માટે આ અંતિમ આઈસીસી ખિતાબ બની રહ્યો છે.
અનિલ કુંબલઃ ભારતીય ક્રિકેટનો સૌથી સફળ બોલર રહ્યો છે. ભારતીય મહાન સ્પિનરે 1996માં નંબર વન બનવાની સિદ્ધી હાંસલ કરી હતી. 20.24 ની સરેરાશથી તેણે એ વર્ષે 61 વિકેટ ઝડપી હતી. કુંબલે ભારતનો સૌથી વધારે વનડે વિકેટ ઝડપનારો બોલર છે. તેણે 271 વનડે મેચ રમીને 337 વિકેટ ઝડપી છે.
કપિલ દેવઃ ભારતને પ્રથમ વાર વિશ્વવિજેતા બનાવનાર કપિલ દેવ 1988માં વિશ્વનો સૌથી ટોચના બોલર નોંધાયા હતા. તેમણે 22.14ની સરેરાશ સાથે 21 વિકેટ ઝડપીને નંબર વનનુ સ્થાન હાંસલ કર્યુ હતુ.
મનિન્દર સિંહઃ વિશ્વમાં નંબર વનનુ સ્થાન હાંસલ કરનાર ભારતીય બોલર મનિન્દર સિંહ હતા. તેઓએ 1987માં આ ઐતિહાસિક ગૌરવ મેળવ્યુ હતુ. તે સમયે ઝડપી બોલરોની ક્રિકેટની દુનિયામાં બોલબાલા હતી. એ દરમિયાન મનિન્દર સિંહે પોતાની સ્પિન બોલિંગ વડે આ સ્થાન હાંસલ કર્યુ હતુ. તેઓએ 30 વિકેટ ફિરકી વડે 28.47ની સરેરાશથી ઝડપી હતી. તેઓએ 59 વનડે મેચોમાં 66 વિકેટ ઝડપી હતી.