જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો IPLનું શું થશે?
IPL 2025 ભારતના વિવિધ શહેરોમાં યોજાઈ રહ્યો છે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા વચ્ચે ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટનું શું થશે તે સવાલ તમામ ક્રિકેટ ફેન્સના મનમાં છે. ઈતિહાસ અને બંધારણ અનુસાર જો યુદ્ધ થાય તો IPLનું શું થશે? જાણો આ ખાસ આર્ટીકલમાં.

IPL 2025 22 માર્ચથી 25 મે દરમિયાન યોજઈ રહ્યું છે. આ મેચો દેશના 10 શહેરોમાં યોજાઈ રહી છે. પરંતુ જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સરકારને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવો પડી શકે છે. સુરક્ષા દળોની પ્રાથમિકતા સરહદોનું રક્ષણ કરવાની રહેશે, જેના કારણે ક્રિકેટ સ્ટેડિયમ જેવા સ્થળોએ સુરક્ષા પૂરી પાડવી શક્ય બનશે નહીં.
યુદ્ધ થાય તો IPL રદ્દ થઈ શકે
જો ભારત-પાકિસ્તાન યુદ્ધ થાય તો IPL જેવી મોટી રમતગમતની ઈવેન્ટ ચોક્કસપણે પ્રભાવિત થશે. બંધારણની કટોકટીની જોગવાઈઓ હેઠળ, કેન્દ્ર સરકાર દેશમાં આવા કાર્યક્રમો મુલતવી રદ્દ કરી શકે છે. બંધારણના અનુચ્છેદ 352 હેઠળ, જો યુદ્ધ અથવા આક્રમણની પરિસ્થિતિ હોય તો રાષ્ટ્રીય કટોકટી લાદી શકાય છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકાર સંદેશાવ્યવહાર, મીડિયા, મુસાફરી અને રમતગમત જેવા કાર્યક્રમોને નિયંત્રિત કરી શકે છે. IPL મુલતવી રાખવી અથવા તેને વિદેશમાં (જેમ કે UAE) શિફ્ટ કરવી શક્ય બની શકે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાર વાર યુદ્ધ થયા
ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ ચાર વાર યુદ્ધ થયા છે. ઈતિહાસ સાક્ષી છે કે 1947, 1965, 1971 અને 1999 ના યુદ્ધોમાં ભારતે પાકિસ્તાન સાથેના તમામ રમત સંબંધો તોડી નાખ્યા હતા. 2008ના મુંબઈ હુમલા પછી, પાકિસ્તાની ખેલાડીઓને IPLમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા હતા.
યુદ્ધ વખતે મેચનું શું થયું હતું?
ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 4 વાર યુદ્ધ થયા છે અને ચારેય યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને માત આપી છે, પરંતુ તે સમયે યોજાયેલ મોટી ટુર્નામેન્ટનું શું થયું હતું? શું તે તમામ મેચો રદ્દ કરવામાં આવી હતી? આ પણ જાણવું ખૂબ જરૂરી છે જેથી હાલમાં ચાલી રહેલ IPLમાં શું થઈ શકે છે તેનો અંદાજો લગાવી શકાય. 1947 અને 1965 ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે કોઈ મોટી ટુર્નામેન્ટનું આયોજન ભારત કે પાકિસ્તાનમાં થયું ન હતું, જોકે 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ છતાં ભારતે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચોનું આયોજન કર્યું હતું. 8 થી 13 ડિસેમ્બર 1971 દરમિયાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બોમ્બેમાં ટેસ્ટ મેચ યોજાઈ હતી.
1999માં વર્લ્ડ કપનું આયોજન
1999 ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે પણ મોટી ટુર્નામેન્ટ યોજાઈ હતી પણ તે રદ્દ કરવામાં આવી ન હતી, કારણ કે તે ભારત કે પાકિસ્તાનમાં નહીં પણ ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી. ઈંગ્લેન્ડમાં તે સમયે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થયું હતું, જેમાં બંને દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 8 જૂન 1999ના રોજ માન્ચેસ્ટર ખાતે ભારત અને પાકિસ્તાન મેચ પણ રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.
જો યુદ્ધ થાય તો શું થશે?
જો યુદ્ધ થાય તો BCCI અને કેન્દ્ર સરકાર IPL માટે વિકલ્પો પર વિચાર કરી શકે છે. યુદ્ધની સ્થિતિમાં, IPLને સ્થગિત, રદ્દ અથવા વિદેશમાં શિફ્ટ કરવાની શક્યતા રહે છે. જેમ કે UAEમાં ટૂર્નામેન્ટનું આયોજન, જે અગાઉ COVID-19 દરમિયાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Breaking News : મહેસાણાના ખેલાડીની ધોનીની ટીમમાં એન્ટ્રી, 28 બોલમાં સદી ફટકારનાર ગુજરાતી ક્રિકેટરને CSK એ ટીમમાં કર્યો સામેલ