VVS Laxman ટીમ ઈન્ડિયાના બનશે હેડ કોચ, BCCI એ લીધો મહત્વનો નિર્ણય
VVS Laxman Team India Coach News: જ્યારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર જશે, તે દરમિયાન ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે બે T20 મેચોની શ્રેણી રમવાની છે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં લક્ષ્મણ ટીમ ઈન્ડિયાને માર્ગદર્શન આપશે.
ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી રમ્યા બાદ ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. જ્યાં તેણે અગાઉની શ્રેણીની બાકીની એક ટેસ્ટ રમવાની છે. અને ત્યારબાદ ટી-20 અને વનડે શ્રેણી પણ રમાશે. જો કે, આ સીરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયા (Team India) ને આયર્લેન્ડમાં બે મેચની T20 સીરીઝ પણ રમવાની છે, જ્યાં તે પોતાની જુનિયર ટીમ મોકલવા જઈ રહી છે. આ જુનિયર ટીમને માર્ગદર્શન આપવા માટે BCCI એ વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) ને કોચ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) પુષ્ટિ કરી છે કે નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયા સાથે આયર્લેન્ડ જવાના છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને 26 અને 28 જૂને આયર્લેન્ડમાં બે T20 મેચ રમવાની છે.
લક્ષ્મણ બે T20 મેચ માટે ટીમ ઈન્ડિયાના કોચ રહેશે
મીડિયા અહેવાલ અનુસાર, જય શાહે કહ્યું, ‘વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયા સાથે ડબલિન જશે.’ રાહુલ દ્રવિડ આ સિરીઝ દરમિયાન ઈંગ્લેન્ડમાં હશે અને આયર્લેન્ડમાં કોચિંગની જવાબદારી વીવીએસ લક્ષ્મણના ખભા પર રહેશે. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે પણ આવી જ ભૂમિકા ભજવી હતી. તે સમયે ટીમ ઈન્ડિયાની સિનિયર ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી અને દ્રવિડ જુનિયર ટીમના કોચ તરીકે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો. તમને જણાવી દઈએ કે ભારતની T20 ટીમ દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પૂરી થયા બાદ તરત જ આયર્લેન્ડ જવા રવાના થશે.
ટીમ ઈન્ડિયાની મેચોને લઈને ઈંગ્લેન્ડમાં ભારે ઉત્સાહ
દરમિયાન, ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસને લઈને સારા સમાચાર છે. નોર્થમ્પ્ટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે કહ્યું કે 3 જુલાઈએ યોજાનારી વોર્મ-અપ T20 મેચ માટેની તેની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરૂદ્ધ છેલ્લી ટેસ્ટ મેચ રમતા પહેલા લેસ્ટરશાયર સામે ચાર દિવસીય વોર્મ-અપ મેચ પણ રમશે. આ સિવાય તે ડર્બીશાયર સામે બે ટી20 મેચ પણ રમશે. ભારતે 1 જુલાઈથી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમવાની છે. આ પછી 7 થી 17 જુલાઈ દરમિયાન ત્રણ T20 અને ત્રણ ODI મેચ રમાશે.
ભારતીય ટીમ પાસે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાની તક છે. ટીમ ઈન્ડિયા પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. પાંચમી ટેસ્ટ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જો પાંચમી ટેસ્ટ ડ્રો થાય અથવા ટીમ ઈન્ડિયા જીતે તો તે ઐતિહાસિક જીત હશે. જો કે આ શ્રેણી વિરાટ કોહલીના નેતૃત્વમાં શરૂ થઈ હતી, પરંતુ હવે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.