ભારતીય ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) નું ફોર્મ ચિંતાનો વિષય છે. લાંબા સમયથી એક જ વાતની ચર્ચા થઈ રહી છે કે વિરાટ કોહલી ક્યારે ફોર્મમાં પરત ફરશે. આ બધાની વચ્ચે હવે તે ઈજાથી પણ પરેશાન છે અને તેના કારણે તે ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડે રમી શક્યો નથી. માત્ર ઈજા જ નહીં પરંતુ વિરાટ કોહલી પણ અવારનવાર બ્રેક લઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે તે ક્યારે અને કેવી રીતે ફોર્મમાં પરત ફરશે?
વિરાટ કોહલી જ્યારે ઈંગ્લેન્ડ પહોંચ્યો ત્યારે ચાહકોને આશા હતી કે તે આ પ્રવાસમાં ફોર્મમાં પરત ફરશે. પરંતુ તે એજબેસ્ટનમાં નિષ્ફળ ગયો. ત્યાર બાદ તે પ્રથમ ટી20 રમી શક્યો નહીં. બાકીની બે T20માં પણ તેણે કુલ 12 રન બનાવ્યા હતા. હવે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સામે પ્રથમ વનડે રમાવાની હતી તે પહેલા જ વિરાટ કોહલી (Virat Kohli) ને જંઘામૂળ (Groin Injury) ની સમસ્યા થઈ ગઈ.
આવી સ્થિતિમાં વિરાટ કોહલી પહેલી વનડે મેચ રમી શક્યો નહી. બીજી વનડે મેચ રમવાને લઇને હજુ પ્રશ્નાર્થ છે. જો વિરાટ કોહલી ત્રીજી વનડે પણ નહીં રમે તો તેનો બ્રેક લાંબો થઈ શકે છે. કારણ કે વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝનો ભાગ નથી. આ સિવાય તે ટી-20 સીરીઝનો હિસ્સો બનશે કે નહીં તે અંગે હજુ પણ શંકા છે. કારણ કે માનવામાં આવે છે કે વિરાટ કોહલી પાંચ મેચની ટી-20 સિરીઝમાં ભાગ નહીં લે અને તેણે બ્રેક માટે કહ્યું છે.
વિરાટ કોહલીના ફોર્મને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતો અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે વિરાટ કોહલીને પ્લેઈંગ-11માંથી બહાર કરી દેવો જોઈએ તો કેટલાક લોકોએ કહ્યું કે વિરાટ કોહલીને થોડો સમય બ્રેક પર જવું જોઈએ.
જો કે સુનીલ ગાવસ્કર, ઈરફાન પઠાણ સહિતના કેટલાક નિષ્ણાતોએ પણ દલીલ કરી છે કે જો વિરાટ કોહલી બ્રેક પર રહેશે તો તે કેવી રીતે ફોર્મમાં પરત ફરશે. ટીમ ઈન્ડિયા (Team India) માટે વિરાટ કોહલીનું ફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે T20 વર્લ્ડ કપ માત્ર બે મહિના પછી રમાવાનો છે.
1) એજબેસ્ટન ટેસ્ટઃ 11, 20 રન
2) ઇંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચઃ 1 રન
3) ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટી20 મેચઃ 11 રન