દિનેશ કાર્તિક (Dinesh Kartik) એ લગભગ 3 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં રમી હતી. જેમાં ભારત (Team India) ને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી દિનેશ કાર્તિક ભારતીય ટીમની બહાર થઈ ગયો હતો. પરંતુ ત્યાર બાદ દિનેશ કાર્તિકે સખત મહેનત કરી અને પોતાની રમતમાં સુધારો કર્યો. IPL 2022માં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વિકેટ કીપર બેટ્સમેનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા IPL 2022 ની મેગા ઓક્શનમાં તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે પોતાની ફ્રેન્ચાઈઝી માટે ઘણી મેચો જીતી છે.
તેના પ્રદર્શનને કારણે તેને દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પાંચ T20 મેચોની શ્રેણીમાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચોથી T20 મેચમાં તેણે ધમાકેદાર અડધી સદી ફટકારી અને ટીમને શાનદાર જીત અપાવી હતી.
આ જીત બાદ ગયા વર્ષે દિનેશ કાર્તિક અને રોહિત શર્મા વચ્ચેની વાતચીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. દિનેશ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી જેમાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘બસ અપને મેં હૂં’. જેમાં રોહિત શર્માએ જવાબ આપ્યો હતો કે, ‘તમારી જાણકારી માટે હું તમને જણાવી દઉં કે, તમારામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે’. આ પછી કાર્તિકે લખ્યું, ‘આમાં કોઈ શંકા નથી’.
ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં કાર્તિકે 27 બોલમાં 55 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 169 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 17 ઓવરમાં 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે અવેશ ખાને 4 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
રોહિત શર્મા અને દિનેશ કાર્તિક વચ્ચેની આ વાતચીત 48 અઠવાડિયા પહેલા થઈ હતી. જ્યારે કાર્તિકે ઈંગ્લેન્ડના એક સ્ટેડિયમની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દિનેશ કાર્તિક ત્યાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટની કોમેન્ટ્રી કરી રહ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ T20 મેચ 19 જૂને બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.